મ્યાનમારથી મણિપુરમાં 900 કુકી ઉગ્રવાદીઓ ઘૂસ્યા

નવી દિલ્હીઃ મ્યાનમારથી મણિપુરમાં જંગલયુદ્ધ અને હથિયાબંધ ડ્રોનના ઉપયોગના તાલીમાર્થી 900 કુકી ઉગ્રવાદીઓની ચેતવણી આપવામાં આવી છે, એમ મણિપુર સરકારના સુરક્ષા સલાહકારે જણાવ્યું હતું.

મણિપુર સરકારના સુરક્ષા સલાહકારની અધ્યક્ષતામાં વ્યૂહાત્મક ઓપરેશન જૂથોની બેઠક યોજાઈ હતી. તેમાં આર્મી, આસામ રાઈફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સ્ટેટ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓ સામેલ હતા. આ આતંકવાદીઓ વિશે અત્યાર સુધી શું જાણવા મળ્યું છે?

કુકી ઉગ્રવાદીઓને 30-30 સભ્યોના જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને તેઓ હાલ અલગ-અલગ ભાગોમાં વહેંચાઈ ગયા છે. તેઓ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં મૈતેઇ ગામો પર હુમલા કરે એવી શક્યતા છે, એમ જાસૂસી સૂત્રોએ કહ્યું હતું.

મણિપુર પોલીસને થોડા દિવસો પહેલાં ઈન્ટેલિજન્સ તરફથી એક ઇનપુટ મળ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે 900થી વધુ કુકી આતંકવાદીઓ મ્યાનમાર (મણિપુર કુકી ઇમિગ્રન્ટ્સ મ્યાનમાર)થી મણિપુરમાં પ્રવેશ્યા છે. આ મામલાને લઈને મ્યાનમારની સરહદે આવેલા પહાડી જિલ્લાઓમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

ઈન્ટેલિજન્સ ઈનપુટની કોપી 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પોલીસ મહાનિર્દેશક, સુરક્ષા સલાહકાર અને ગૃહ કમિશનરને મોકલવામાં આવી હતી. આ પછી, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે 18 સપ્ટેમ્બરે સ્ટ્રેટેજિક ઓપરેશન ગ્રુપની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં આર્મી, આસામ રાઇફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સ્ટેટ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ઈન્ટેલિજન્સ ઈનપુટ પર ચર્ચા થઈ હતી.

રાજ્યમાં પહેલી સપ્ટેમ્બરથી ફરી હિંસા ફાટી નીકળી હતી. જેમાં મૈતેઈ બહુમતી વિસ્તારમાં આશરે 50,000 લોકો વિસ્તાપિત થયા છે અને અત્યાર સુધી 220થી વધુ લોકોનાં મોત થયાં છે.