લદાખમાં આર્મી બસ નદીમાં પડતાં 7 સૈનિક શહીદ

લેહઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના તુર્ટુક સેક્ટરમાં આજે સવારે બનેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના સાત સૈનિકના કરૂણ મરણ નિપજ્યા છે તથા બીજા અનેક જવાનને ગંભીર ઈજા પહોંચી છે. આ અકસ્માત એક આર્મી બસને નડ્યો હતો. સવારે લગભગ 9 વાગ્યાના સુમારે તે બસ રસ્તા પરથી સરકીને શ્યોક નદીમાં પડી હતી.

બસમાં 26 જવાન પ્રવાસ કરતા હતા. બસ પાર્તાપુર ટ્રાન્ઝિટ કેમ્પથી સબ-સેક્ટર હનિફમાં એક સ્થળે જતી હતી ત્યારે રસ્તા પરથી સરકીને 50-60 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી. પરિણામે જવાનોને ઈજા થઈ હતી. એમને પાર્તાપુરની ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, એમાંના સાત જવાન મૃત્યુ પામ્યા હતા. ઈજાગ્રસ્ત જવાનોને શ્રેષ્ઠ પ્રકારની સારવાર પૂરી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

અકસ્માતની જાણ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દુઃખ વ્યક્ત કર્યું છે.