કોરોનાના 5326 નવા કેસ, 453નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં કુલ ઓમિક્રોનના કેસોએ 200ની સંખ્યા પાર કરી છે. જોકે સારી વાત એ છે કે 77 દર્દીઓ એમાંથી સારવાર લઈને ઠીક થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 5326 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 453 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,52,164 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,78,007 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,41,95,060 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 8043 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 79,097એ પહોંચી છે, જે 581 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.40 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 10,14,079 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 60.35 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 138.34 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,38,34,78,181 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 64,56,911 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.