સચિન તેંડુલકર કોરોના-સંક્રમિતઃ ટ્વીટ કરીને માહિતી આપી

મુંબઈઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સચિન તેન્ડુલકર કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. સચિન શનિવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. સચિને ખુદને ઘરમાં ક્વોરોન્ટીન કરી લીધા છે. તે રોગચાળામાં બધા જરૂરી પ્રોટોકોલ અને ડોક્ટરોની સલાહ લઈને તેનું પાલન કરી રહ્યા છે. સચિન કોરોના પોઝિટિવ આવ્યા પછી પૂરા પરિવારનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાએ સૌથી વધુ કહેર મચાવ્યો છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઝ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે એક્ટર પરેશ રાવલ કોરોના પોઝિટિવ છે.

સચિન તેંડુલકરે થોડા દિવસ પહેલા જ રાયપુરમાં આયોજિત રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડ્સની કેપ્ટન્સી કરી હતી. સચિનના નેતૃત્વમાં ઇન્ડિયા લિજેન્ડ્સે ફાઇનલ મેચમાં શ્રીલંકા લિજેન્ડ્સને પરાજિત કર્યા હતા.

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં સચિન તેંડુલકર ઉપરાંત વીરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, બ્રાયન લારા, કેવિન પિટરસન, સનથ જયસૂર્યા, તિલકરત્ને દિલશાન અને જોન્ટી રોડ્સ જેવા સુપ્રસિદ્ધ ક્રિકેટરોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની 7 મેચમાં સચિને કુલ 223 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 65 રન રહ્યો હતો.

અત્યાર સુધી કોરોનાની ચપેટમાં કેટલીય ફિલ્મી હસ્તીઓ જેવી કે આમિર ખાન, કાર્તિક આયર્ન, રણબીર કપૂર, સંજય લીલા ભણશાળી, સતીશ કૌશિક મનોજ બાજપેયી આવી ચૂકી છે.