મુંબઈમાં બાંધકામ ખર્ચ ઘટશે; ઘર સસ્તા થશે

મુંબઈઃ જમીનની અછત અને જમીનની ઊંચી કિંમતને કારણે મુંબઈમાં લેન્ડ ડેવલપર્સ સીધી લંબાઈમાં એટલે કે બહુમાળી મકાનો બાંધવાનું વધારે પસંદ કરે છે. ઘણી વાર તેઓ પ્લોટના કુલ એરિયા માટે પરવાનગી (એફએસઆઈ – ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ) અપાઈ હોય એના કરતાંય વધારે માળના-ઊંચા મકાનો બાંધી નાખે છે. પરંતુ હવે મુંબઈ મહાનગરપાલિકાએ બાંધકામ પ્રોજેક્ટો પરના 22 જેટલા વેરા (પ્રીમિયમ)માં અડધો અડધો કાપ મૂકી દેતાં દેશની સૌથી મોંઘી હાઉસિંગ માર્કેટ ગણાતા મુંબઈમાં ઘરોની કિંમત ઘટી શકે છે.

મહારાષ્ટ્ર સરકારે 2021ના ડિસેમ્બર સુધી બાંધકામ પ્રોજેક્ટો પરની અનેક લેવીમાં 50 ટકાનો ઘટાડો કરી દીધો છે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (એચડીએફસી)ના ચેરમેન દીપક પારેખની આગેવાની હેઠળ સરકાર-નિયુક્ત સમિતિએ કરેલી ભલામણના આધારે વેરા ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. બિલ્ડરો માટે ડેવલપમેન્ટ ખર્ચ ઘટી જશે, પરિણામે મકાન બાંધકામ ખર્ચ, ઘરની કિંમત પણ ઘટી જશે. જાણીતા બિલ્ડર અને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ નિરંજન હિરાનંદાનીનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી જમીન ડેવલપ કરવાનો ખર્ચ ઘટશે અને પરિણામે નવા ઘર સસ્તા થશે.