ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રમાં બીજા CM આવશેઃ કંગના

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તથા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ પરોક્ષ શાબ્દિક યુદ્ધ હજી ચાલુ જ છે.

કંગનાએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર કહ્યું છે કે, મહારાષ્ટ્ર તમારી માલિકીનું છે એવું સમજતા નહીં. તમે માત્ર જનતાના સેવક છો. તમારી પહેલા આ પદ પર કોઈક હતા અને ટૂંક સમયમાં જ બીજું કોઈ આવશે.

ઉદ્ધવ ઠાકરેએ રવિવારે શિવસેના પાર્ટીની દશેરા રેલીમાં એમની આગવી આક્રમક શૈલીમાં ભાષણ કર્યું હતું અને એમાં પરોક્ષ રીતે કંગનાની ટીકા કરી હતી.

ઠાકરેએ ગઈ કાલે એમના ભાષણમાં કહ્યું હતું કે, વિજયાદશમીએ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. એવા દસ રાવણ મહારાષ્ટ્રમાં આવ્યા છે. એમાંનો એક રાવણ એમ કહે છે કે મુંબઈ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર જેવું બની ગયું છે. વડા પ્રધાન મોદીએ તો એક વખત જાહેરાત કરી હતી કે પાકિસ્તાનના કબજા હેઠળનું કશ્મીર ભારત સાથે જોડી દેવું છે. ઘરમાં ખાવા મળતું નથી એટલે મુંબઈ આવવું છે અને પછી એમ બતાવવું છે કે અમે કેટલું બધું કષ્ટ વેઠ્યું છે. મુંબઈ-મહારાષ્ટ્રનું નમક ખાવાનું અને નમકહરામી કરવાની. આ બધી રાવણની ઔલાદો છે.

એનો કંગનાએ એક વિડિયો નિવેદનમાં ઉપર મુજબ જવાબ આપ્યો છે.