ભાયખલા જેલમાં 39 મહિલા કેદીઓને કોરોના થયો

મુંબઈઃ મધ્ય મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી મહિલાઓની જેલમાં શીના બોરા મર્ડર કેસનાં મુખ્ય આરોપી અને આઈએનએક્સ મિડિયાના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રાણી મુખરજી તથા બીજી 38 મહિલા કેદીઓને કોરોનાવાઈરસ બીમારી થયાનું માલૂમ પડ્યું છે. જેલના સત્તાવાળાઓએ કહ્યું છે કે મોટા ભાગની કેદીઓને હળવા પ્રકારનો ચેપ લાગ્યો છે.

જોકે જેલના કોઈ કર્મચારીને કે અધિકારીને કોરોના થયો છે કે નહીં તે હજી સ્પષ્ટ થયું નથી. 39 કોરોનાગ્રસ્ત કેદીઓને નજીકની જે.જે. હોસ્પિટલ, સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ અને જી.ટી. હોસ્પિટલ જેવી સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી છે. ભાયખલા જેલમાં કુલ 462 કેદીઓને રાખવાની જગ્યા છે. (262 મહિલા અને 200 પુરુષ). પરંતુ હાલ એમાં 306 મહિલા અને 203 પુરુષ કેદીઓને રાખવામાં આવ્યા છે.