મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બે કાર્યક્રમનું આયોજન

મુંબઈમાં સમયાંતરે વિવિધ ગુજરાતી સાહિત્યિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે. ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બે કાર્યક્રમો યોજાવાના છે. જેના વિશે વિગતમાં જાણીએ.

ગુજરાતી સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આગામી 15 નવેમ્બર, શનિવારે બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, સુભાષ લૅન, કાંદિવલી ખાતે કેઈએસ ગુજરાતી ભાષા ભવનના સહયોગથી સવારે 8 વાગ્યે `પ્રૂફ રીડિંગ અને શુદ્ધ લેખન કાર્યશાળા’ કાર્યક્રમ યોજાશે. જેમાં મૂળાક્ષર, સ્વર-વ્યંજન, જોડણીપરિચય, અનુસ્વાર, સમાસરચના, સંધિ વગેરે વિશે પ્રશિક્ષક તરીકે સેજલ શાહ અને સતીશ વ્યાસ સમજૂતી આપશે. સંયોજક તરીકે સંજય પંડ્યા ફરજ બજાવશે.

બીજા કાર્યક્રમની વાત કરીએ તો એ છે `ગમતાંનો કરીએ ગુલાલ’. આ પ્રોગ્રામ અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ અને શકિલમ ફાઉન્ડેશનના સહયોગથી સાંજે 7.30 વાગ્યે અસ્પી નૂતન એકેડેમી સ્કૂલ, માર્વે રોડ, મલાડ (વેસ્ટ) ખાતે યોજાશે. મહારાષ્ટ્રનાં પંદરથી વધુ શહેરોમાં સફળતાપૂર્વક ભજવાયેલા આ પ્રયોગમાં કવિતા, કાવ્યસંગીત અને એકોક્તિનો સમાવેશ થાય છે. કલાકાર રાજુલ દીવાન, વૈશાલી ત્રિવેદી, પ્રફુલ્લ પંડ્યા, દિગંત મેવાડા, શનાયા હાર્દિક શાહ, રાઘવ દવે અને વશિષ્ઠ દવે તેમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં સંચાલન તરીકે મુકેશ જોષી ફરજ બજાવશે.

ઉલ્લેખનીય છે કે આ બંને કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે. દરેક ઈચ્છુક સાહિત્યરસિકો અને કલાપ્રેમીઓ આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. કાર્યક્રમમાં જોડાવવા માટે આ નંબર પર ૨૨૬૭ ૨૫૩૯ અકાદમીનો સંપર્ક કરી શકો છો.