ભારતમાં જાપાનના માનદ્ કોન્સલ તરીકે મૂકેશ પટેલને નિયુક્ત કરવામાં આવ્યા

અમદાવાદ : ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન (IJFA) ગુજરાતના પ્રમુખ મૂકેશ પટેલને ભારતમાં જાપાનના માનદ્ કોન્સલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણુંક જાપાનના વિદેશ મંત્રી દ્રારા પાંચ વર્ષની મુદત માટે કરવામાં આવી છે અને તેની જાહેરાત જાપાનના મહામહિમ સમ્રાટના જન્મદિવસની યાદમાં જાપાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન મુંબઈમાં જાપાનના કોન્સલ જનરલ ડૉ. યાસુકાતા ફુકાહોરી અને દિલ્હીમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકી દ્વારા કરવામાં આવી હતી.

કોન્સલ જનરલે જાહેરાત કરી કે ભારતમાં માનદ્ કોન્સલ તરીકે જાપાનની આ સૌ પ્રથમ નિમણુંક છે. 1952 માં શરૂ થયેલા જાપાન-ભારત રાજદ્રારી સંબંધો હાલમાં 72માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. જાપાનના રાજદૂતે તેમના અભિવાદન સંબોધનમાં જણાવ્યું હતું કે આ એક ઉજવણી કરવા માટેના સમાચાર છે, કારણ કે આ નિમણુંકથી ગુજરાત અને જાપાન વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનશે. તેમની નિમણુંકના પ્રત્યુતરમાં મૂકેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ 1972 માં તેમના વિદ્યાર્થીકાળથી 51 વર્ષથી વધુ સમય માટે જાપાન સાથે સંકળાયેલા છે અને ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને આગળ વધારતા દ્રિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમર્પણ સાથે કાર્ય કરી રહેલ છે. તેમને આપવામાં આવેલ આ વિશેષાધિકૃત દરજ્જો તેમને વધુ ઉત્સાહ સાથે આ કાર્યને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરશે.

2017 માં મૂકેશ પટેલને શૈક્ષણિક, વ્યાપારી અને સાંસ્કૃતિક ક્ષેત્રે જાપાન ઈન્ડિયા ફ્રેન્ડશીપને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રશંસનીય સેવાઓની કદરરૂપે જાપાનના સમ્રાટ દ્રારા ‘ઓર્ડર ઓફ ધ રાઈઝિંગ સન’નું વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું. મૂકેશ પટેલે હ્યોગો-ગુજરાત સિસ્ટર-સ્ટેટ અને કોબે-અમદાવાદ સિસ્ટર-સિટી સંબધોને પ્રોત્સાહિત કરવામાં તેમજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે જાપાન ઇન્ફર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર, ભાષા અને સાંસ્કૃતિક કેન્દ્રો તથા ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડેમીની સ્થાપનામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.