મની લોન્ડરિંગ કેસઃ જેકલીન ફર્નાન્ડીઝને દિલ્હી કોર્ટમાંથી મળી રાહત

મની લોન્ડરિંગ કેસઃ બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આજે દિલ્હી કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીનની જામીન અરજી સ્વીકારી લીધી છે. હાલમાં અભિનેત્રી વચગાળાના જામીન પર રહેશે. હવે આ મામલે નિર્ણય 15 નવેમ્બરે આવી શકે છે. જણાવી દઈએ કે જેકલીનને કોર્ટમાંથી આપવામાં આવેલ વચગાળાના જામીન 10 નવેમ્બરના રોજ પૂરા થઈ ગયા હતા.

EDએ જામીનનો વિરોધ કર્યો હતો

તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેકલીનના જામીનનો સતત વિરોધ કરી રહ્યું હતું. EDએ કહ્યું કે જામીન મળ્યા બાદ અભિનેત્રી પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને વિદેશ પણ ભાગી શકે છે. તેના પર જેકલીનના વકીલે દલીલ કરી હતી કે અભિનેત્રી તેને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે.

કોર્ટે પૂછ્યું કે શા માટે અભિનેત્રીની ધરપકડ કરવામાં ન આવી 

ગુરુવારે પણ આ મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રી દિલ્હીની પટિયાલા કોર્ટમાં પણ હાજર રહી હતી. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે EDને સવાલ કર્યો હતો કે જ્યારે અભિનેત્રીને લુકઆઉટ નોટિસ મોકલવામાં આવી ત્યારે તેની ધરપકડ શા માટે કરવામાં આવી નથી. આ પછી કોર્ટે જેકલીનની જામીન અરજી પર નિર્ણય 11 નવેમ્બર સુધી સુરક્ષિત રાખ્યો હતો.

જેકલીન પર શું છે આરોપ

200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશને મળ્યાના 10 દિવસમાં જ જેકલીનને તેના ગુનાહિત ઇતિહાસ વિશે જણાવવામાં આવ્યું હોવાનો આરોપ છે. આમ છતાં અભિનેત્રી તેના સંપર્કમાં રહી અને મોંઘી ભેટ લેતી રહી. હાલ આરોપી સુકેશ ચંદ્રશેખર જેલના સળિયા પાછળ છે. સુકેશ પર આરોપ છે કે તેણે ઘણા લોકોને છેતર્યા છે.