ACBના શિકંજામાં મનીષ સિસોદિયા?: જાણો શું છે ક્લાસરૂમ કૌભાંડ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત ક્લાસરૂમ કૌભાંડને મામલે ભારે બબાલ મચી છે. સરકારી શાળાઓમાં વર્ગખંડો (ક્લાસરૂમ)ના નિર્માણમાં ભારે કૌભાંડો અને અનિયમિતતાઓને મામલે નોંધાયેલી FIRની તપાસ માટે દિલ્હીના ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા ACB ઓફિસમાં હાજર થયા હતા. ACB અધિકારીઓએ સ્વતંત્ર પંચ સાક્ષીની હાજરીમાં સિસોદિયાની પૂછપરછ કરી છે.

એ  દરમ્યાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી પણ આ કૌભાંડ બાબતે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ક્લાસરૂમ કૌભાંડની રકમ આશરે રૂ. 2000 કરોડ હોવાનું આંકવામાં આવી રહ્યું છે.

EDની દરોડાની કાર્યવાહી દરમિયાન મોટો ખુલાસો થયો છે. EDએ 18 જૂન 2025એ દિલ્હી-NCRના 37થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદો (PMLA), 2002 હેઠળ કરવામાં આવી હતી. આ કેસ ખાસ કરીને નવી કલાસરૂમ બનાવટમાં થયેલા કૌભાંડથી સંબંધિત છે. પ્રાપ્ત માહિતી મુજબ 2015થી 2023 દરમ્યાન  જરૂરથી ત્રણ ગણા ક્લાસરૂમ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

કયા નેતાઓ પર આરોપ છે?

ACB દ્વારા દાખલ કરાયેલી FIR અનુસાર ભૂતપૂર્વ શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા, પૂર્વ PWD મંત્રી સત્યેન્દ્ર જૈન અને અન્ય કેટલાક લોકો સામે રૂ. 2000 કરોડથી વધુના કથિત કૌભાંડનો આરોપ છે. વર્ષ 2015થી 2023 વચ્ચે માત્ર 2405 વર્ગખંડોની જરૂરત હતી, છતાં પણ આ સંખ્યા 12748 સુધી વધારી દેવામાં આવી અને એ પણ મંજૂરી વિના.

મોંઘા અને ખોટા નિર્માણ સામગ્રીનાં ટેન્ડરોને જાણીબૂજી પસંદ કરવામાં આવ્યા હતા, જેથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ શકે. બાંધકામ ખર્ચમાં લગભગ 49 ટકા જેટલો વધારો નોંધાયો હતો, જે પૈસાનો દુરુપયોગ થયો હતો. બાંધકામમાં ડુપ્લિકેટ બિલ અને ખોટા ખર્ચના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આ કારસ્તાન આચરાયું હતું.

EDને દરોડામાં શું મળ્યું?

ખાનગી ઠેકેદારોનાં ઘરો અને ઓફિસોમાંથી સરકારની મૂળ ફાઇલો અને PWD અધિકારીઓની નકલી મહોરો મળી આવી. ઉપરાંત 322 બેંક પાસબુક મળી આવી, જે ખોટા મજૂરોને નામે ખાતા ખોલી સરકારી પૈસાની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. નકલી લેટરહેડ, ફેક બિલ અને શેલ કંપનીઓના દસ્તાવેજો પણ મળ્યા. આ શેલ કંપનીઓના નામે મોટાં પેમેન્ટ બતાવવામાં આવ્યાં હતાં.