પૂર્વ IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી

કેન્દ્ર સરકારે પૂર્વ IAS ઓફિસર પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સરકારે પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે. IAS (પ્રોબેશન) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ પણ IASની ઉમેદવારી રદ કરતી વખતે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.

શુક્રવારે પૂજા ખેડકરે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે તે AIIMSમાં તેની વિકલાંગતાની તપાસ કરાવવા માટે તૈયાર છે. પૂજા ખેડકરે દિલ્હી હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. ખેડકરે આ દલીલ દિલ્હી પોલીસના આરોપ પર આપી હતી કે તેમનું વિકલાંગતા પ્રમાણપત્ર નકલી હોઈ શકે છે. છેતરપિંડી સાથે, ખેડકર પર અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને ડિસેબિલિટી ક્વોટાનો લાભ ખોટી રીતે લેવાનો પણ આરોપ છે.