ભારત બનશે 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા: કરણ અદાણી

અમદાવાદ: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું છે કે તેઓ દરિયાઈ, લોજિસ્ટિક્સ અને કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયોને વધારવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. 8,867 કરોડ રૂપિયાના ખર્ચે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરના ઉદ્ઘાટન બાદ કરણ અદાણીએ વ્યવસાય વૃદ્ધિ માટેની અનેક બાબતો અંગેની ભાવિ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો.કરણ અદાણીએ જણાવ્યું હતું કે “ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ ઓપરેટર APSEZ ત્રણ મુખ્ય વ્યવસાય ક્ષેત્રોમાં છે. જેમાં દરિયાઈ વ્યવસાય, લોજિસ્ટિક્સ વ્યવસાય અને કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયનો સમાવેશ થાય છે. તેમણે ધ્યાન દોર્યું કે APSEZ દેશમાં દરિયાઈ વેપારનું સૌથી મોટું ઓપરેટર છે. હવે ભારત અને ભારતની બહાર દરિયાઈ વેપારને વધારવાનો અમારો ઉદ્દેશ છે. APSEZ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપવા વિચારણા કરી રહ્યું છે. બંદરોની જેમ અમે મોટા મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક બનાવી કાર્યક્ષમતા વધારવામાં મદદ કરીશું.”

અદાણી ગ્રુપની મુખ્ય કંપની APSEZ વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટના બીજા તબક્કામાં રૂ. 13,000 કરોડનું રોકાણ કરશે. જેનાથી ઊંડા પાણીના બંદરની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વર્તમાન 12 લાખ TEUs (વીસ ફૂટ સમકક્ષ એકમો) થી 2028 સુધીમાં લગભગ 50 લાખ TEUs થશે.

કૃષિ-લોજિસ્ટિક્સ વ્યવસાયનો ઉલ્લેખ કરતા, કરણ અદાણીએ કહ્યું કે “આજે ભારતમાં સંગ્રહિત અનાજ યોગ્ય રીતે સંગ્રહિત નથી. એટલા માટે જ અમે સાયલો બનાવવા અને તેનો સંગ્રહ કરવા પર વિચાર કરી રહ્યા છીએ.” વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર APSEZ ના અન્ય બંદરોથી અલગ કેવી રીતે તેના જવાબમાં કરણ અદાણીએ કહ્યું કે “વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટ દેશનું પહેલું પોર્ટ છે જેમાં 100 ટકા ટ્રાન્ઝિટ બિઝનેસ છે.’ હાલમાં, અમારા બંદરોમાંથી પસાર થતો બધો કાર્ગો સિંગાપોર અને કોલંબો જઈ રહ્યો છે, આ કાર્ગોને અમે વિઝિંજામ બંદર પર લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

અત્યારે ભારતના 75 ટકા ટ્રાન્ઝિટ કાર્ગોનું સંચાલન ભારતની બહારના બંદરો પર થાય છે અને ભારતીય બંદરો ભારતમાંથી/ભારત તરફ આવતા કાર્ગોના ટ્રાન્ઝિટ હેન્ડલિંગ પર દર વર્ષે US$ 200-220 મિલિયન સુધીની સંભવિત આવક ગુમાવે છે. કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “કંપનીનો ઉદ્દેશ્ય ભારતીય વેપારીઓ માટે શિપિંગ ખર્ચ ઘટાડવાનો છે. ‘એકવાર આવું થશે, પછી વોલ્યુમ આપમેળે વધશે.”

વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર ટેરિફની દ્રષ્ટિએ કોલંબો અને સિંગાપોર બંદરો સાથે કેવી રીતે સ્પર્ધા કરશે? તેના જવાબમાં કરણ અદાણીએ કહ્યું કે, “વિઝિંજામ બંદરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવી પડશે. “તેથી આપણે ફક્ત ફી પર જ નહીં, પરંતુ તમામ પાસાઓ પર સ્પર્ધા કરવી પડશે. આપણે કાર્યક્ષમતા પર સ્પર્ધા કરવી પડશે, આપણે કામગીરી તેમજ ઉત્પાદકતા પર પણ સ્પર્ધા કરવી પડશે.”