ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટિનિયન નાગરિકોના મૃત્યુઆંક 10000ને પાર

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. આ દરમિયાન ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 10 હજારને પાર થઈ ગઈ છે. અલ જઝીરાના અહેવાલમાં પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધમાં 10,022 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. જેમાંથી 4104 બાળકો છે. આ સિવાય હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા 2,000 લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે, જેમને ભારે સાધનો અને મશીનરીના અભાવે બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલના ઘેરાબંધીને કારણે લોકોને ઈંધણ, ખોરાક અને વીજળી જેવી આવશ્યક ચીજવસ્તુઓ મળી શકતી નથી.

હિઝબુલ્લાહ પણ હુમલો કરી રહ્યું છે

ઇઝરાયેલ-હમાસના યુદ્ધની અસર હવે લેબનોનમાં પણ જોવા મળી રહી છે. હિઝબુલ્લાહ ઉગ્રવાદીઓ સતત ઈઝરાયેલ પર એન્ટી ટેન્ક વડે હુમલા કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, બ્રિટને સાવચેતીના પગલા તરીકે લેબનોનમાંથી બ્રિટિશ દૂતાવાસના કેટલાક કર્મચારીઓને અસ્થાયી ધોરણે પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે.

ગાઝાની 35 હોસ્પિટલોમાંથી ઘણી ઓછી ઈંધણ પુરવઠાને કારણે સ્થગિત થઈ ગઈ છે. ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા બોમ્બમારાથી અત્યાર સુધીમાં 25,000થી વધુ લોકો ઘાયલ થયા છે, આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે ગાઝામાંથી 15 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 1400 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ પછી ઈઝરાયેલે ગાઝા સ્થિત હમાસ પર જોરદાર હુમલા કર્યા. હમાસે 200 થી વધુ લોકોને બંધક બનાવ્યા છે.