ટ્રમ્પે તાલિબાની નેતા મુલ્લા અબ્દુલ ઘાની બરાદર સાથે વાત કરી

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાની નેતા મુલ્લા અબ્દુલ ઘાની બરાદર સાથે વાત કરી છે. બંને વચ્ચે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા અંગે વાતચીત થઈ. વ્હાઈટ હાઉસે આ અંગે જાણકારી આપી અને જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ અને આતંકવાદી સમૂહ વચ્ચેની આ પહેલી વાતચીત છે.

ટ્રમ્પ અને તાલિબાન વચ્ચે વાતચીત એવા સમયે થઈ છે જ્યારે હાલમાં જ તાલિબાને પોતાની વાતથી યુટર્ન લેતા કહ્યું હતું કે જ્યાં સુધી તેના કેદીઓને છોડી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી તે અફઘાન શાંતિવાર્તામાં સામેલ થશે નહીં.

મંગળવારે બરાદર સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે હિંસામાં ઘટાડો કરવા ઉપર પણ ભાર મૂક્યો. આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોની શાંતિ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અમે સતત સમર્થન આપવા માટે તૈયાર છીએ. અત્રે જણાવવાનું કે યુએસ અને તાલિબાન વચ્ચે સ્થાયી શાંતિને લઈને એક સમજૂતિ થઈ હતી.

વ્હાઈટ હાઉસે જણાવ્યું કે ટ્રમ્પે તાલિબાનને કહ્યું હતું કે તે ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન સરકારના પ્રતિનિધિઓ સાથે આંતર અફઘાન વાર્તામાં સામેલ થાય, જેનાથી 40 વર્ષથી ચાલતા સંઘર્ષનો અંત આવે.