બ્રિટનની સરહદોને સંપૂર્ણપણે-ડિજિટલ બનાવીશું: પ્રીતિ પટેલ

લંડનઃ બ્રિટનનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે દેશની ઈમિગ્રેશન નીતિમાં ધરખમ ફેરફારો જાહેર કર્યાં છે. એમણે જણાવ્યું છે કે બ્રિટનની તમામ સરહદોને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવશે જેથી સરકાર ઈમિગ્રેશન પદ્ધતિને વ્યવસ્થિત બનાવી શકશે. બહારના દેશોમાંથી લોકો બેફામપણે બ્રિટનમાં આવી રહ્યાં હોવાથી ઈમિગ્રેશન નીતિને સરળ અને વધારે અસરકારક બનાવવાની જરૂર ઊભી થઈ છે.

ઈમિગ્રેશન નીતિમાં ફેરફારો અંતર્ગત દેશની બધી સરહદોને ડિજિટલ ટેક્નોલોજીથી સંચાલિત બનાવવામાં આવશે. જેથી દેશમાં આવતા અને દેશમાંથી જતા લોકોની સચોટ માહિતી રાખી શકાય અને ગણતરી કરી શકાય. નવા સુધારા અંતર્ગત તમામ સરહદો પર સિક્યુરિટી ચેક વ્યવસ્થા ઓટોમેટિક બની જશે. જેથી વિદેશમાંથી ગંભીર ગુનેગારોને આવતા રોકી શકાય. વિઝા કે ઈમિગ્રેશન સ્ટેટસ વગર બ્રિટનમાં આવવા માગતા વિદેશીઓએ ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ઈટીએ) માટે અરજી કરવી પડશે. અમેરિકામાં આ જ સિસ્ટમ લાગુ છે. તેમાં દર વર્ષે 3 કરોડ જેટલી અરજીઓ પ્રોસેસ કરી શકાશે, એમ પ્રીતિ પટેલે કહ્યું છે.