સિંગાપુરમાં લોકોને એસી બંધ રાખવાની ચેતવણી કેમ અપાઇ?

નવી દિલ્હીઃ ચીનમાં 900 જેટલા લોકોના જીવ લેનારો કોરોના વાયરસ વિશ્વના અન્ય દેશોમાં પણ પહોંચ્યો છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે હવાથી લોકોમાં ફેલાય છે. ત્યારે સિંગાપુરમાં ત્યાંના તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, કોરોના વાયરસથી બચવા માટે એસીને બંધ રાખો અને તાજી હવા માટે પંખાનો ઉપયોગ કરો.

ચીનની શાંઘાઈ સિવિલ અફેર્સ બ્યૂરોના ઝેંગ ક્યૂને કહ્યું કે, કોરોના વાયરસનો ચેપ સીધા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાથી અને હવાથી પણ સીધો જ ચેપ લાગી શકે છે. તેમણે કહ્યું કે એરોસોલ ઈન્ફેક્શન એવી વસ્તું છે કે જે કોઈ પરફ્યૂમ સ્પ્રે અથવા તો અન્ય સ્પ્રેના કારણે હવામાં ફેલાય છે અને કોઈ વ્યક્તિ તે હવાને શ્વાસમાં લે તેનાથી ફેલાય છે.

કોરોના વાયરસ ચાઈનીઝ સી-ફૂડ એટલે કે માછલીઓ સહિત અન્ય સમુદ્રી ભોજનથી ફેલાવાનો શરુ થયો. ખૂબ ઓછા સમયમાં આ વાયરસ ચીનના તમામ પ્રાંતોમાં ફેલાયો. ભારતને આ મામલે ચીન તરફથી પ્રથમ સૂચના 31 ડિસેમ્બરના રોજ મળી હતી.

ડિસેમ્બરની શરુઆતમાં આ વાયરસના પ્રકોપને ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરના સીફૂડ માર્કેટમાં નોટિસ કરવામાં આવ્યો હતો. ત્યાંથી આ વાયરસ વુહાન શહેર અને પછી ચીનના અન્ય 30 રાજ્યોમાં ફેલાઈ ગયો.