પાકિસ્તાન કશ્મીર પ્રશ્ન ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લઈ જવા વિચારે છે

ઈસ્લામાબાદ – પાકિસ્તાને આજે એવો સંકેત આપ્યો છે કે ભારતે જેમ પાકિસ્તાનમાં ફાંસીની સજા પામેલા કેદી કુલભૂષણ જાધવનો કેસ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં લઈ જવાનું નક્કી કર્યું છે તો પોતે પણ એને પગલે કશ્મીરનો મુદ્દો ICJમાં લઈ જાય એવી શક્યતા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલને એમની સાપ્તાહિક પત્રકાર પરિષદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું પાકિસ્તાન કશ્મીરનો પ્રશ્ન ICJમાં લઈ જશે?

ફૈઝલે હા કે નામાં સીધો જવાબ આપવાને બદલે એવો સંકેત આપ્યો હતો કે આ મુદ્દે કાનૂની નિષ્ણાતો વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

ફૈઝલે વધુમાં કહ્યું હતું કે જમ્મુ અને કશ્મીરનો મામલો ICJમાં લઈ જવાને લાગેવળગે છે ત્યાં સુધી આ પ્રશ્ન જટિલ કાનૂની સમસ્યા છે. એટર્ની જનરલ એ વિશે ચર્ચા કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે.