ચીનની જિનપિંગ સરકારે ઝીરો કોવિડ પોલિસી ખતમ કરી

બીજિંગઃ કોરોનાની એક મોટી લહેરની ચપેટમાં ચીન આવી ચૂક્યું છે, ત્યારે ચીને એક નવો નિર્ણય કર્યો છે. શી જિનપિંગની આગેવાની હેઠળની સરકારે ઝીરો કોવિડ પોલિસીને દૂર કરીને કોરોનાને લઈને એક નવી ગાઇડલાઇન જારી કરી દીધી છે. ચીન આંતરરાષ્ટ્રીય સરહદોને ફરીથી ખોલી દેશે. સરકારે દેશની અંદર RT-PCR ટેસ્ટને ખતમ કર્યો છે. એ સાથે હળવાં લક્ષણોવાળાં દર્દીઓને કામ પર પરત ફરવાના નિર્દેશ જારી કર્યા છે.

ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ ચીનની નેશનલ હેલ્થ કમિસને સોમવારે મોડી રાત્રે કોવિડ મેનેજમેન્ટની નીતિઓમાં ફેરફાર કરતાં એને ક્લાસ Aથી ઘટાડીને ક્લાસ B કરી દીધો છે. એનો અર્થ એ થયો કે હવે દેશમાં આવના કોઈ પણ શખસને ક્વોરોન્ટિન નહીં કરવામાં આવે. એ સાથે કોવિડ19ના હાઇ રિસ્કવાળા ઝોનને સીલ કરવામાં નહીં આવે. કોવિડ પોલિસી આઠ જાન્યુઆરીથી લાગુ થશે.

કોવિડ રોગચાળાની વૈશ્વિક સ્થિતિ જોતાં ચીન ધીમે-ધીમે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને પોર્ટો પર પણ કામગીરી તેજ કરશે. ચીન આવતા વિદેશી પેસેન્જરોએ 48 કલાક પહેલા RT-PCR રિપોર્ટ બતાવવો પડશે. ચીન કોવિડ19ના પ્રસારની દેખરેખ કરવાનું જારી રાખશે અને વિદેશોમાં પણ કોવિડ19ની સ્થિતિ પર નજર રાખશે.

ચીને એવા સમયે નિર્ણય કર્યો છે, જ્યારે એ કોરોનાના વેરિયેન્ટ ઓમિક્રોનના સંક્રમણથી બહુ ખરાબી રીતે ઝઝૂમી રહ્યો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું કે ચીન આઠમી જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પેસેન્જરો માટે ક્વોરોન્ટિનની જરૂરિયાતને ખતમ કરી દેશે. શી જિનપિંગે પહેલી વાર કહ્યું છે કે દેશ કોવિડ19ની નવી સ્થિતિ સામે ઝઝૂમી રહ્યો છે.