અમદાવાદ: ભારતના આર્થિક વિકાસની ઝડપ, વધતી આવક અને સાક્ષરતા દરના વધારા સાથે ટીવી સામગ્રીના વપરાશ અને ટેલિવિઝન લેન્ડસ્કેપમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. આ વાત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ- અમદાવાદ (IIMA)ના પ્રોફેસર વિશ્વનાથ પિંગળી (ઇકોનોમિક્સ) અને અંકુર સિંહા (ઓપરેશન્સ એન્ડ ડિસિઝન સાયન્સિસ) દ્વારા તૈયાર કરાયેલા ‘ફ્યુચર ઓફ ટીવી ઇન ઇન્ડિયા’ અહેવાલમાં જણાવવામાં આવી છે.
આ અહેવાલ Brij Disa Centre for Data Science and Artificial Intelligence (CDSA) દ્વારા સમર્થિત છે. તેમાં અનુમાન કરવામાં આવ્યું છે કે સુધારતા સામાજિક-આર્થિક સૂચકાંકો અને ઇન્ટરનેટ પેનેટ્રેશનના વધારા સાથે ભારતના ટીવી દર્શકો ૨૦૨૯ સુધીમાં લગભગ ૧.૦૩ અબજ સુધી પહોંચી જશે. વર્તમાનમાં ટીવી દર્શકો વાર્ષિક લગભગ ૨.૩૭%ના દરે વધી રહ્યા છે.
અહેવાલમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્રામીણ અને નીચી આવકવાળા રાજ્યોમાં ૨૦૨૯ સુધીમાં મોટો વિકાસ થશે. કારણ કે ત્યાંની આવક વધુ આવકવાળા રાજ્યોના વર્તમાન સ્તરને પાછળ પાડશે. ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ટીવી દર્શકો વધારવાનું મુખ્ય કારણ બની રહી છે. ઇન્ટરનેટની પહોંચ વધવાથી ટીવી અને ઓનલાઇન વીડિયો કન્ટેન્ટ બંનેનું વપરાશ સાથે-સાથે વધશે, જે પૂરક અસર દર્શાવે છે.
પ્રોફેસર વિશ્વનાથ પિંગળીએ કહ્યું, “અમારા સંશોધનનો ઉદ્દેશ ટીવીને પરિપક્વ માધ્યમ તરીકેના વિકાસના માર્ગને ડેટા આધારિત સૂચકો દ્વારા સ્થાપિત કરવાનો હતો. વધતી આવક અને સાક્ષરતા દર, ખાસ કરીને ગ્રામીણ અને નીચી આવકવાળા વિસ્તારોમાં, ટીવીની સ્વિકૃતિને મજબૂત બનાવે છે.”
પ્રોફેસર અંકુર સિંહાએ ઉમેર્યું, “અમારા મોડલમાં ઇન્ટરનેટ પેનેટ્રેશન ટીવી દર્શકો વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગ્રામીણ અને ઓછા વિકસિત વિસ્તારોમાં આર્થિક પરિવર્તન ટીવીના આગામી વિકાસનું નેતૃત્વ કરશે.”
અહેવાલમાં સાક્ષરતા દર અને ડિપેન્ડન્સી રેશિયો સાથે ટીવી અપનાવવાનો મજબૂત સંબંધ દર્શાવવામાં આવ્યો છે. ટીવી સામાજિક વિકાસનું ઉત્પ્રેરક બની રહ્યું છે, જેમાં સમાન ભાષાના સબટાઇટલ્સથી ગ્રામીણ ભારતમાં સાક્ષરતા વધે છે. ટીવી પાત્રો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બને છે અને લિંગ નિયમો, વ્યક્તિગત સ્વાયત્તતા તથા આર્થિક સ્વતંત્રતા પ્રત્યે પ્રગતિશીલ વલણોને પ્રોત્સાહન આપે છે.
આ અહેવાલમાં રાજ્યવાર પ્રોજેક્શન્સ સાથે ભવિષ્યવાદી ઓડિયન્સ એસ્ટિમેશન મોડલ રજૂ કરવામાં આવ્યું છે, જે ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સ, પ્રતિ વ્યક્તિ GSDP, સાક્ષરતા દર વગેરેને ધ્યાનમાં લઈને ટીવી વ્યૂઅરશિપનો અંદાજ આપે છે. આ અભ્યાસ ટીવીની ટકાઉ તાકાતને શૈક્ષણિક રીતે માન્ય કરે છે.




