ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે 11 ફેબ્રુઆરીએ 180 દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યો. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. 2024ની યાદીમાં તે 3 સ્થાન ઘટીને 96મા નંબર પર આવી ગયો છે. 2023માં ભારત 93મા નંબરે હતું. મતલબ કે અહીં ભ્રષ્ટાચાર વધ્યો છે.
પાડોશી દેશોની સ્થિતિ શું છે?
પાડોશી દેશ ચીન 76માં નંબર પર છે. 2 વર્ષથી તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સાથે જ પાકિસ્તાનમાં પણ ભ્રષ્ટાચાર વધ્યો છે. તે 133મા સ્થાનેથી 135મા સ્થાને આવી ગયો છે. શ્રીલંકા 121મા અને બાંગ્લાદેશ 149મા ક્રમે છે.
ડેનમાર્ક નંબર વન પર યથાવત છે. ત્યાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર છે. ફિનલેન્ડ બીજા સ્થાને અને સિંગાપુર ત્રીજા સ્થાને છે. જ્યારે દક્ષિણ સુદાન (180) સૌથી ભ્રષ્ટ દેશ છે. જાહેર કરાયેલા રેન્કિંગમાં નંબર 1 પરનો દેશ સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે અને 180માં નંબર પરનો દેશ સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે.
2023માં ભારત કયા ક્રમે હતું?
મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં ભારતનો સ્કોર 38 રાખવામાં આવ્યો છે. આ સ્કોર 2023માં 39 અને 2022માં 40 હતો. માત્ર એક નંબરના ઘટાડાને કારણે ભારત 3 સ્થાન નીચે આવી ગયું છે. વર્ષોથી વૈશ્વિક સરેરાશ 43 રહી છે. જ્યારે બે તૃતીયાંશથી વધુ દેશોએ 50થી નીચેનો સ્કોર કર્યો છે.
કેવી રીતે થાય છે નક્કી?
આ ઇન્ડેક્સ માટે, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના નિષ્ણાતો દરેક દેશના જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનું મૂલ્યાંકન કરે છે. આ પછી દરેક દેશને 0 થી 100 વચ્ચેનો સ્કોર આપવામાં આવે છે. જે દેશમાં જેટલો ભ્રષ્ટાચાર છે તેટલો ઓછો સ્કોર આપવામાં આવે છે. તેના આધારે ઇન્ડેક્સમાં રેન્કિંગ નક્કી થાય છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)