ભારત- EU ડીલ: BMW સહિત લક્ઝરી કારો થશે સસ્તી

નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયન (EU)માંથી આયાત થતી કારો પર ભારત મોટો ટેરિફ ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પગલું ભારત અને EU વચ્ચે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો ભાગ છે. આવતી કાલ સુધીમાં તેનું ઔપચારિક એલાન થવાની શક્યતા છે.

પ્રસ્તાવિત કરાર હેઠળ ભારત EUમાં બનેલી કારો પર લાગતો આયાત શૂલ્ક હાલના રેકોર્ડ હાઈ 110 ટકામાંથી ઘટાડીને 40 ટકા સુધી લાવવાની યોજના ધરાવે છે. જો આવું થાય તો દેશના ભારે સુરક્ષિત ઓટોમોબાઈલ માર્કેટને ખોલવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

શરૂઆતમાં ખાસ કારો પર જ ઘટશે ટેરિફ

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વેપાર કરાર હેઠળ જે ટેરિફમાં ઘટાડો થશે, તે શરૂઆતમાં માત્ર 15 હજાર યુરો (અંદાજે રૂ. 16.3 લાખ)થી વધુ કીમતી, EUમાં સંપૂર્ણ રીતે બનેલી કારોના મર્યાદિત આયાત પર લાગુ થશે. આ યોજના મુજબ આ કારો પર ટેરિફને 110 ટકામાંથી ઘટાડીને પહેલાં 40 ટકા સુધી લાવવામાં આવશે અને બાદમાં તેને વધુ ઘટાડીને 10 ટકા સુધી લાવવાની સંભાવના છે.

આ કરારથી વોક્સવેગન, મર્સિડિઝ-બેન્ઝ અને BMW જેવી યુરોપિયન ઓટોમોબાઈલ કંપનીઓ માટે ભારતીય બજારમાં પ્રવેશ વધુ સરળ બનશે. ભારતે હાલ દર વર્ષે અંદાજે બે લાખ ઇન્ટર્નલ કંબશન એન્જિન વાહનો પર ડ્યૂટી ઘટાડવા માટે સંમતિ આપી છે, જોકે અંતિમ ક્વોટામાં ફેરફાર શક્ય છે. એક તરફ ઘરેલુ કંપનીઓના રોકાણને સુરક્ષિત રાખવા માટે સરકારની યોજના બેટરી ઇલેક્ટ્રિક વાહનોને પ્રથમ પાંચ વર્ષ સુધી ટેરિફ ઘટાડાની બહાર રાખવાની છે. બાદમાં આવી જ પ્રકારની છૂટછાટ ઇલેક્ટ્રિક વાહનો પર પણ લાગુ થવાની અપેક્ષા છે.

એલાન ક્યારે થઈ શકે?

યુરોપિયન યુનિયનમાંથી કારોની આયાત પર ટેરિફ ઘટાડાનો નિર્ણય એવા સમયે થવાનો છે જ્યારે યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન ચાર દિવસની ભારત મુલાકાતે છે. તેઓ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે પ્રજાસત્તાક દિવસના ઉત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છે.