દ્વારકાધીશ મંદિરે કર્યો મહત્વનો નિર્ણય, ટૂંકા વસ્ત્રો પર મૂકાયો પ્રતિબંધ

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થઘામ છે. અહી રોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે હવે દ્વારકા મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકાયો છે. મંદિરમાં આવતા યાત્રિકોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આ સાથેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામા આવ્યું છે.

મંદિરના બહાર લાગ્યા બોર્ડ:

ભારતીય સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરેલ હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંગે તંત્ર દ્વારા અનેક ભાષા સાથે માહિતગાર કરવા બેનરો મંદિરોમાં વિવિધ સ્થળે લગાવવામાં આવ્યા છે. યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રાળુઓને ભારતીય સંસ્કૃતિ અનુસાર વસ્ત્રો પહેરવા અંગે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના આ મંદિરોમાં પણ ટૂંકા વસ્ત્રો પર છે પ્રતિબંધ:

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિયમ છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. તો શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.