ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતભરમાં શરૂ કરેલા ‘એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન’ અંતર્ગત ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર- WIVES એસોસિએશનના અધ્યક્ષા અને વન વિભાગના વડા ડૉ.એ.પી.સિંઘના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે આવેલા પુનિત વન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય સચિવ પંકજ જોશીના ધર્મપત્ની અને IAS WIVES એસોસિએશનના અધ્યક્ષા જ્યોત્સના જોષી, IPS WIVES એસોસિએશનના અધ્યક્ષા અને પોલીસ વડા વિકાસ સહાયના ધર્મપત્ની અનુરાધા સહાય સહિત તેમની સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.
IFS-WIVES એસોસિયેશનના અધ્યક્ષા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમના મુખ્ય આયોજક ગીતા સિંઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પર્યાવરણના સંવર્ધન,જતન અને સંરક્ષણના ધ્યેય સાથે ગાંધીનગર અને અમદાવાદ ખાતે સેવારત અંદાજે 55 જેટલા IAS, IPS અને IFS અધિકારીઓની ધર્મપત્ની-ટીમ દ્વારા તેમના નામ સાથે ‘એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન’ અંતર્ગત વિવિધ પ્રકારના કુલ 111 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
જેમાં મુખ્યત્વે પીંપળ, વડ, જાંબુ, કુસુમ આંબળા, રાયણ, બોરસલ્લી, સરગવો ઉમરો, ખાટી આંબલી, બહેડા, કાજલિયા,અર્જુન સાદળ, પૌગારો અને રેન્ટ્રી જેવા ફળાઉ તેમજ ઔષધીય વૃક્ષોનો સમાવેશ થાય છે.
