માનવ દાણચોરી: નોકરીને બહાને હજારોથી વધુ આદિવાસી બાળકોનો શિકાર?

રાંચી: ઝારખંડ ભારતમાં માનવ દાણચોરીનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં દર વર્ષે હજારોથી વધુ આદિવાસી છોકરાઓ અને છોકરીઓ, ખાસ કરીને સગીર છોકરીઓની દાણચોરી દિલ્હી અને અન્ય રાજ્યોમાં કરવામાં આવે છે. સ્થિતિ એવી છે કે આદિવાસી બહુલ ઝારખંડ છેલ્લા કેટલાક દાયકાઓમાં બાળકોની દાણચોરીનો મુખ્ય સ્રોત બની ગયું છે. નિર્દોષ ગ્રામીણોને નોકરી આપવાની લાલચ આપીને દાણચોરો તેમને મોટાં શહેરોમાં વેચી દે છે.

ઝારખંડના માનવ દાણચોરીથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગુમલા, ગઢવા, સાહિબગંજ, દુમકા, પાકુડ, પશ્ચિમ સિન્હભૂમ (ચાઈબાસા), રાંચી, પાલામુ, હઝારીબાગ, ધનબાદ, બોકારો, ગિરિડીહ, કોડરમા અને લોહરદગ્ગાનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

આ દાણચોરીનો શિકાર બનેલી બહુમતી મહિલાઓ ઉરાંવ, મુંડા, સંથાલ, દુર્લભ પહાડિયા અને ગોંડ જનજાતિઓમાંથી આવે છે, જેમાં મોટા ભાગે ઉરાંવ અને મુંડા સમુદાયની હોય છે. આ એજન્સીઓ આદિવાસી બાળકોને દિલ્હી, ફરિદાબાદ, ગુડગાંવ અને નોઇડા જેવા વિસ્તારોમાં ઘરેલુ કામ માટે “સપ્લાય” કરે છે. આ એજન્સીઓ મુખ્યત્વે 11 થી 16 વર્ષની ઉંમરનાં બાળકોને નિશાન બનાવે છે, જે શોષણ છતાં પણ ગભરાટને કારણે કંઇ બોલતા નથી.

હાલમાં રાજ્યમાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) બનાવાયું છે તેમ જ 300 પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્ક ઊભી કરવામાં આવી છે. તેમ છતાં છેલ્લા આઠ વર્ષોમાં ઝારખંડમાંથી 4765 સગીરો ગુમ થયાનું નોંધાયું છે.

પોલીસને ફરિયાદ મળ્યા પછી પણ માત્ર 3997 સગીરો જ મળી શક્યા હતા. હજારો બાળકો હજુ પણ ગુમ છે. આ સમસ્યા ખાસ કરીને ગ્રામીણ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ગંભીર છે, જ્યાં ગરીબી, અશિક્ષણ અને બેરોજગારીને કારણે બાળકો દાણચોરીના ટાર્ગેટ બને છે.

યુવકો અને છોકરીઓને નોકરીનાં ખોટાં વચનો આપી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ગુજરાત અને પંજાબ જેવાં શહેરોમાં લઇ જવાય છે, જ્યાં તેમનું શારીરિક, માનસિક અને યૌન શોષણ થાય છે. દાણચોરીના શિકાર બાળકોમાંથી 62 ટકા છોકરીઓ અને 38 ટકા છોકરાઓ છે.