મહિલાઓ પોતે જ પોતાના ભાગ્યની નિર્માતા બનેઃ નમ્રતા અદાણી

અમદાવાદઃ અદાણી એન્ટરપ્રાઇઝીસનાં ડિરેક્ટર નમ્રતા અદાણીએ તાજેતરમાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રેરક ઉદબોધન કર્યુ હતું. મહિલા શિક્ષણ અને મહિલા સશક્તીકરણ ક્ષેત્રે સક્રિયપણે જોડાયેલાં નમ્રતાબહેને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા આયોજિત ફ્યુચર ઓફ વર્ક ફોર વુમન સમિટમાં વિકસિત ભારતને ઘડવામાં શિક્ષણ અને મહિલા સશક્તીકરણની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. મહિલા સશક્તીકરણ માટેની પહેલમાં તેમણે જાત અનુભવો પણ શેર કર્યા હતા.

“ફ્લેક્સિબલ વર્ક એરેન્જમેન્ટ્સ: ચેલેન્જીસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ કરિયર પાથવેઝ ફોર વુમન” વિષય આધારિત ઉચ્ચ-સ્તરીય પેનલ ચર્ચામાં ભાગ લેતાં નમ્રતા અદાણીએ મહિલાઓમાં સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની, તેમને તમામ ક્ષેત્રોમાં સફળ થવા તેમ જ ભારતની પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે સજ્જ થવાની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ઉમેર્યુ હતું કે મહિલાઓએ પોતે જ પોતાના ભાગ્યની નિર્માતા બને – આપણે ફક્ત પરિવર્તન લાવી શકતા નથી, પરંતુ તેનું નેતૃત્વપણ કરી શકીએ છીએ, નમ્રતાબહેને વૈશ્વિક દ્રષ્ટિકોણને આકાર આપવામાં તેમની માતાના પ્રભાવ પર પ્રતિબિંબ પાડતાં કહ્યું હતું કે મારી માતા મને કહેતી હતી કે જ્યારે પડકારો ઊભા થાય ત્યારે નાણાકીય સ્વતંત્રતા તમને આગળ ધપાવશે. આજે તેમણે શીખવેલા પાઠ પર મને ખૂબ ગર્વ છે અને એ સંચાર હું મારી પુત્રીમાં કરું છું.

નમ્રતા અદાણીએ ગ્રામીણ ભારતમાં અદાણી ગ્રુપના લાંબા સમયથી ચાલી રહેલા પ્રયાસો પર પણ ભાર મૂક્યો, જ્યાં યુવાન છોકરીઓ અને મહિલાઓને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ દ્વારા સ્વતંત્રતા મેળવવામાં કંપનીનું ફાઉન્ડેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે આ પરિવર્તનશીલ કાર્યક્રમોને દેશભરની શહેરી શાળાઓમાં વિસ્તારવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.

આ પેનલમાં પ્રોફેસર અચ્યુતા અધ્વર્યુ (UC San Diego), હેન્ના એરિક્સન (સસ્ટેનેબિલિટી એન્ડ ઇમ્પેક્ટ, અપવર્કના ડિરેક્ટર), પ્રોફેસર નિકોલસ બ્લુમ (સ્ટેનફોર્ડ યુનિવર્સિટી) અને પ્રજ્ઞા ખન્ના (વાઇસ પ્રેસિડેન્ટ, ગ્લોબલ હેડ ઓફ સસ્ટેનેબિલિટી, પ્રોસસ) સહિત પ્રતિષ્ઠિત વક્તાઓની શ્રેણીએ ભાગ લીધો હતો.