રાજ્યમાં અવિરત મેઘમહેર, 217 તાલુકામાં નોંધાયો વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમામે સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. પાછલા એક દિવસમાં રાજયના 33 જિલ્લાના 217 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમાં સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં સાડા 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. હાલ સુધીમાં જૂનાગઢમાં સિઝનનો 17.85% વરસાદ નોંધવામાં આવ્યો છે. જ્યારે સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 28.82% વરસાદ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 7.16% વરસાદ પડ્યો છે.

 રાજ્યમાં કેટલાક વિસ્તારમાં સતત મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે સતત બીજા દિવસે ધનસુરામાં ધોધમાર વરસાદ આવ્યો છે. મંગળવારે સવાર સુઘીની વાત કરીએ તો, ધનસુરામાં સૌથી વધારે 27 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો. જ્યારે ભિલોડામાં 25 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. મોડાસામાં 21 મીમી વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ચાર કલાકમાં 8 માંથી 7 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તલોદમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગર, ઇડર, પોશીના અને પ્રાંતિજમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હિંમતનગરમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

રાજ્યમાં ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થતું જોવા મળ્યું. તો કેટલાક જળાશયોમાં વરસાદના નવા નીર આવતા જોવા મળ્યા. નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. અમરેલી-રાજુલા વાવેરા માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું. જેથી સ્ટેટ હાઇવે બંધ થયો હતો. ગુજરાતના જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમ ગઈકાલે જ 51 ટકાથી વધુ ભરાઈ ગયો હતો. રાજ્યના 11 જળાશયો 50થી 70 ટકા ભરાયા છે. કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે.