ગુજરાતમાં બુધવારે મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો છે. આ વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવાથી લઈને જર્જરિત મકાનો તૂટી પડવાની ઘટનાઓ સામે આવી છે. વાહનવ્યવહાર ખોરવાયો હતો, અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, આ વરસાદે ગરમીમાંથી રાહત આપીને વાતાવરણમાં ઠંડક પ્રસારી છે.
રાજ્યભરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે અનેક જિલ્લાઓમાં નુકસાન કર્યું છે. ઊંઝામાં ગાજવીજ સાથે વરસેલા વરસાદથી એક ટ્રક અંડરપાસમાં ફસાયો હતો. તો બીજી બાજું અરવલ્લી અને અમીરગઢ-ઈકબાલગઢના વિસ્તારોમાં અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. માલુપરમાં વીજળીના તાર તૂટતાં અંધારપટ છવાયો હતો. મહીસાગરના ખાનપુર તાલુકાના ભાદરોડમાં એક વૃદ્ધનું જર્જરિત મકાન તૂટી પડતાં મોત નીપજ્યું. પાટણના વોર્ડ નંબર-8માં ખરાદી વાડામાં મકાનની ગેલેરી ધરાશાયી થઈ. બનાસકાંઠામાં પવનના કારણે મકાનોના પતરા ઉડી ગયા. અમદાવાદના કાલુપુરમાં ધનાસુથારની પોળમાં મકાન તૂટવાથી બે મહિલાઓ કાટમાળમાં દબાઈ, જેમાંથી એક 30 વર્ષીય મહિલાનું મોત થયું.
ઉત્તર ગુજરાતના મહેસાણા અને ગાંધીનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે અંડરપાસ બંધ થયા અને વાહનવ્યવહાર અટક્યો. સવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ. વરસાદે રાજ્યમાં ઠંડક લાવી, પરંતુ સ્વાસ્થ્ય અને સલામતી માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. નાગરિકોને જર્જરિત ઇમારતોથી દૂર રહેવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.
