ઈન્ટર્ન્સ્‌ અને રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત્, સામે સરકાર અડીખમ

અમદાવાદ: ગત 31 ઓગસ્ટના રોજ રાજ્ય સરકારે રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં 20 ટકાના વધારાની જાહેરાત કરી હતી. જ્યારે આ તમામ રેસિડેન્ટ ડોક્ટરોની 40 ટકાના સ્ટાઈપેન્ડ વધારાની માગ હતી. આ જ માગને લઈને તમામ રેસિડેન્ટ ડોક્ટરો ગઈકાલથી હડતાલની જાહેર કરી હતી. જ્યારે આ હડતાલને લઈ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડતી જોવા મળી રહી હતી. આ દરમિયાન આરોગ્ય વિભાગે હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોને અલ્ટીમેટમ આપ્યું હતું કે, મંગળવારે સવારે નવ વાગ્યા સુધીમાં ફરજ પર થાઓ નહીંતર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આજે હડતાલના બીજા દિવસે પણ ડોક્ટરોએ એકઠા થવાનું શરૂ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની રેસિડેન્ડ ડોક્ટરોની હડતાળને પગલે સિવિલ હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલોમાંથી ડોક્ટરોને બોલાવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ છે જેથી દર્દીઓને હાલાકી ન પડે. ડોક્ટર દ્વારા સોમવારે સુધી સ્ટાઈપેન્ડમાં 40 ટકા વધારાની માંગ કરવામાં આવી હતી, પરંતુ આજે 40 ટકાની જગ્યાએ 30 ટકાની માંગ કરવામાં આવી છે. એટલે કે, હવે બાકી રહેલો 10 ટાકા વધારો માંગીને હડતાલ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ રેસિન્ડેટ ડોક્ટરોની હડતાલને સામે ડોક્ટરોની પણ અડી ખમ રહેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરો સાથે વાટાઘાટો કરવાનું પણ ટાળવામાં આવી હતી. હાલ બી.જે મેડિકલ કેમ્પસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલમાં બીજે મેડિકલ કોલેજમાં 1 એસીપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ, 100થી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર સરકારના આદેશને પગલે આરોગ્ય વિભાગે નક્કી કર્યુ છે કે, જો મંગળવારે સવારે 9 વાગ્યા સુધી ડોક્ટરો હાજર ન થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોના રજીસ્ટ્રેશન રદ કરવા સુધીના પગલાં લેવા તૈયારી કરાઇ છે. આ ઉપરાંત જે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળમાં ભાગ લીધો છે તેમની ગેરહાજરી પૂરવા પણ આરોગ્ય વિભાગે સૂચના આપી દીધી છે. દર્દીઓના ભોગે વારંવાર હડતાળ પાડતાં રેસિડેન્ટ ડોક્ટરો સામે સરકાર કડક વલણ દાખવ્યુ છે. આ ઉપરાંત કોઇપણ ભોગે સ્ટાઈપેન્ડમાં વધારો નહીં કરવા સરકાર મક્કમછે.