કોર્ટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 30 લોકોને નિર્દોષ છોડ્યા

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટે મંગળવારે 2017ના ગેરકાયદે એસેમ્બલી કરી અને નવી દિલ્હી જઈ રહેલી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રાજધાની ટ્રેનને વિક્ષેપિત કરવાના કેસમાં 30 અન્ય લોકો સાથે ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા હતા.

અમદાવાદ જિલ્લાના સરોડા ગામની 13 મહિલાઓ સહિત મેવાણી, તેના તત્કાલીન સહયોગી રાકેશ માહેરિયા અને અન્ય 29 લોકો સામે IPC કલમ 143 (ગેરકાયદે ટોળું), 147 (હુલ્લડ), 149, 332 કલમ, તથા 120B (ગુનાહિત કાવતરું) તેમ જ રેલવે અધિનિયમની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

જિગ્નેશ મેવાણી, સરોડા ગામના રહેવાસીઓ સાથે, દલિતોને ફાળવવામાં આવેલી જમીનના પ્લોટના કબજાની માગ સાથે વિરોધનું નેતૃત્વ કર્યું હતું, જે ઉચ્ચ જાતિના પ્રભાવશાળી લોકોના કબજામાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મેવાણી અન્ય વિરોધીઓ સાથે ટ્રેનના એન્જિન પર ચઢી ગયા હતા અને રેલવે ટ્રેક પર સૂઈને ટ્રેનનો માર્ગ અવરોધિત કર્યો હતો.

બચાવ પક્ષના વકીલ ગોવિંદ પરમારના જણાવ્યા અનુસાર, ફરિયાદ પક્ષના લગભગ 70 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, ત્યાર બાદ પી.એન. ગોસ્વામીની મેજિસ્ટ્રેટ કોર્ટે 13 મહિલાઓ સહિત તમામ 31 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. અગાઉ, નવેમ્બર 2023 અને ઓક્ટોબર 2022માં, એડિશનલ મેજિસ્ટ્રેટ ગોસ્વામીએ અન્ય બે કેસોમાં મેવાણીની સાથે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યાં 2016ના વિરોધ માટે રમખાણોના આરોપો લાદવામાં આવ્યા હતા.