મોરબીની દુર્ઘટનામાં રાજ્યના CM રાજીનામું આપેઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ મોરબી પૂલ દુર્ઘટનામાં 134થી વધુ લોકોનાં મોતને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધતાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તત્કાળ રાજીનામું આપવું જોઈએ અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ. જે લોકોનાં મોત થયાં છે, તેમના આત્મા માટે હું પ્રાર્થના કરું છું. ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.આ ભ્રષ્ટાચારનો મામલો છે. ઘડિયાળ બનાવતી કંપનીને પૂલ બનાવવાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો કેવી રીતે? બીજો સવાલ, પૂલ મરામતનો કંપનીને કોઈ અનુભવ નહોતો. જેનો અર્થ કંપનીનો પક્ષ સાથે સારો સંબંધ છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે FIRમાં ના કંપનીનું અને તેના માલિકનું નામ છે. હોસ્પિટલની પણ ખસ્તા હાલત હતી અને હવે વડા પ્રધાન આવી રહ્યા છે, એટલે છેક રંગરોગાન કરવામાં આવ્યું છે. એક આરોપ એ લાગી રહ્યો છે કે કંપનીએ પક્ષને મોટું ફંડ આપ્યું છે. એની માહિતી શોધવી પડશે. ભૂપેન્દ્ર પટેલને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. રાજીનામું આપ્યા બાદ તરત ચૂંટણી થવી જોઈએ.

દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ આ દુર્ઘટના પર જણાવ્યું હતું કે આ દુર્ઘટના પર દેશ હલી ગયો છે. આ દુર્ઘટનામાં અનેક બાળકોનાં મોત થયાં છે. જે તથ્યો સામે આવ્યાં છે- એનાથી કહી શકાય કે આ દુર્ઘટના નહીં હત્યા છે. જેનું કારણ ભાજપનો ભ્રષ્ટાચાર છે.