ગ્રામહાટમાં ગણેશની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ

અમદાવાદઃ ગયા વર્ષે કોરોના વાયરસને કારણે ગણેશોત્સવને બદલે સ્વાસ્થ્યોત્સવ ઊજવવામાં આવ્યો હતો, પણ આ વર્ષે ગણેશોત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે  ભાદરવા શુક્લ પક્ષની ચોથે  ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશોત્સવ એટલે કે ગણેશ ચતુર્થીનો ઉત્સવ 10 દિવસો ચાલે છે અને અનંત ચતુર્થીના દિવસે સમાપ્ત થાય છે.  

હસ્તકલાના કારીગરો દ્વારા નિર્મિત ગણેશની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ અમદાવાદના અંજલિ ચાર રસ્તા પાસેની ગ્રામહાટમાં થઈ રહ્યું છે. અહીંથી ગ્રાહકો ગણેશની મૂર્તિ ઉપરાંત પૂજા માટે આવશ્યક સામગ્રી જેવી કે ભગવાનના પરિધાન, ધૂપસળી, હવનકુંડ, કુંડા, દીવડા વગેરે પણ ખરીદી શકશે.

આ એક્ઝિબિશનનો આરંભ ત્રીજી સપ્ટેમ્બરથી થયો છે, જે 10 સપ્ટેમ્બર,2021 સુધી ચાલશે. આ વેચાણ કમ પ્રદર્શનમાં માટીકામ અને હસ્તકલાના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ ઉપ્લબ્ધ છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ગ્રાહકો સીધા કારીગરો પાસેથી જેતે ચીજવસ્તુઓની ખરીદી કરે એ છે. આ સીધી ખરીદીને કારણે કારીગરોની આવકમાં વૃદ્ધિ થશે અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર થવામાં સહાયરૂપ થશે.

અમદાવાદ જિલ્લા વિકાસઅધિકારી  અનિલ ધામેલિયા, ડીઆરડીએના આઈ.એસ.આહિર અને ફિક્કીના નંદિતા મુન્શા વગેરેની ઉપસ્થિતિમાં આ એક્ઝિબિશનનો શુભારંભ થયો હતો. આ એક્ઝિબિશન માટે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII)  અને કુટિર –ગ્રામોદ્યોગ વિભાગ, ગુજરાત સરકારનો સહયોગ પ્રાપ્ત થયો છે.