ઇલેક્ટ્રોથર્મ સામે રૂ. 632 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો

અમદાવાદઃ અમદાવાદ સ્થિત ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ની સામે CBIએ આશરે 632 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. આ ઉપરાંત CBIએ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે છેતરપિંડી બદલ અમદાવાદ સ્થિત કંપની અને તેના ચાર ડિરેક્ટર્સ સામે કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2012-16માં ક્રેડિટ સુવિધા સંબંધિત છેતરપિંડીનો આ કેસ છે, એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. તપાસ એજન્સીએ કંપની ઉપરાંત FIRમાં આરોપી તરીકે તેના મેનેજિંગ ડિરેક્ટર્સ-ગેરેન્ટર્સ શૈલેષ ભંડારી અને MD અવિનાશ ભંડારી, ડિરેક્ટર મુકેશ ભંડારી અને પૂર્ણ સમયના ડિરેક્ટર નરેન્દ્ર દલાલનાં નામ આપ્યાં છે.

આ કંપનીના ડિરેક્ટર્સ પર એવો પણ આરોપ છે કે 2012 અને 2016 દરમિયાન બેન્ક ઓફ ઇન્ડિયાની ફંડ આધારિત અને નોન ફંડ આધારિત ક્રેડિટની સુવિધા ધરાવતા હતા. બેન્કે કંપનીનું ફોરેન્સિક ઓડિટ કર્યું હતું, જેમાં બહાર આવ્યું હતું કે કંપની તેની સબસિડિયરી અને સહયોગી કંપનીઓ મારફત ફંડનું ડાઇવર્ઝન અને ઉચાપત કરતી હતી. આ કંપનીઓમાં એકસમાન ડિરેક્ટર્સ હતા, એમ સીબીઆઇના રાષ્ટ્રીય પ્રવક્તા આર સી જોશીએ જણાવ્યું હતું. આ FIRને પગલે CBIએ તાજેતરમાં આરોપીઓના અમદાવાદનાં છ સ્થળો પર તાજેતરમાં તપાસ કાર્યવાહી કરી હતી. CBIના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની શંકાસ્પદ ડીલર્સ સાથે સોદા કરતી હતી. કંપની માલસામાનની વાસ્તવિક ડિલિવરી વગર ખોટા બિલ ઇશ્યુ કરતી હતી અને તેથી લિક્વિડિટીની તંગી ઊભી થઈ હતી. આ પછી આશરે રૂ. 632 કરોડનાં બાકી લેણાં સાથે લોન સુવિધા NPA બની હતી.

ફેબ્રુઆરી, 2021માં સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સના અધિકારીઓએ કથિત બોગસ બિલિંગ કૌભાંડ સદર્ભે ગાંધીનગરમાં કંપનીના પ્રાંગણમાંથી દરોડા પાડ્યા હતા, જેમાં 900 બોટલથી વધુ ગેરકાયદે દારૂ અને અગણિત કારતૂસ પણ જપ્ત કરી હતી