CM ડેશબોર્ડ દ્વારા રુપાણીએ રથયાત્રાને લઇને કરી અગત્યની બેઠક

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અમદાવાદમાં ૧૪૧મી ઐતિહાસિક રથયાત્રા યોજાય તે પૂર્વે સીએમ ડેશ બોર્ડ દ્વારા અમદાવાદની પરિસ્થિતિનું રીયલ ટાઇમ આધારિત મોનિટરિંગ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.રથયાત્રા અમદાવાદના જે વિસ્તારોમાંથી પસાર થશે તે વિસ્તારોમાં રીયલ ટાઇમ આધારિત મોનિટરિંગ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ પાસેથી જરુરી માહિતી મેળવી કેટલાક સૂચનો કર્યાં હતાં.આ બેઠકમાં કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિત પ્રશાસન અને પોલિસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતાં.અમદાવાદમાં વિભિન્ન સ્થળે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યાં છે. આ કેમેરાના જીવંત દ્રશ્ય સીએમના નિવાસસ્થાને ડેશ બોર્ડ ઉપર જોઇને રુપાણીએ શહેરની પરિસ્થિતિનું હાઇટેક નિરીક્ષણ કર્યું હતું. સીએમ ડેશ બોર્ડની સર્વેલન્સ સીસ્ટમ દ્વારા રીયલ ટાઇમ મોનિટરિંગથી સમગ્ર રાજ્યમાં કયા સ્થળે કઇ સ્થિતિ છે તે મુખ્યપ્રધાન જાણી શકે છે.