રાજકોટમાં બાળકોના મોત મામલે કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેઠા

અમદાવાદઃ સરકારી હોસ્પિટલમાં બે-પાંચ બાળકોના મોત થઈ જાય તો તે ગંભીર બાબત કહેવાય. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 352 નવજાત શિશુના મોત નિપજ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમ ટાઉનમાં છેલ્લા એક વર્ષમાં એક હજારથી વધુ બાળકો મોતે ભેટ્યા છે. ત્યારે રાજકોટ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ સીએમ રૂપાણીના રાજીનામાની માગ કરી.

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં નવજાત શીશુઓના મોતનો દર ઘણો વધ્યો છે. પરંતુ તંત્રને જાણે તેની ગંભીરતા નથી.. અને તેથી બાળકોના મોતનો સિલસિલો રોકાતો નથી. મોટાભાગના બાળકોના મોત કુપોષણને કારણે થયા છે. માતા-પિતા પોતાના વહાલસોયા બાળકોનું સ્વાસ્થ્ય સારૂ થઈ જશે તેવી આશાએ સિવિલ હોસ્પિટલનો લાભ લે છે. પરંતુ દાખલ થનારા બાળકોમાંથી ઘણા બાળકો બચી શકતા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2019માં 1,235 બાળકોનાં મોત થયા. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં 352 બાળકોનાં મોત થયા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ઓક્ટોબરમાં 131, નવેમ્બરમાં 110 અને ડિસેમ્બરમાં 112 બાળકોનાં મોત નોંધાયા છે. તો સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ મનીષ મહેતા એવો દાવો કર્યો કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ છે. પૂરતા સાધનો છે. તો બાળકોના મૃત્યું કેમ થઈ રહ્યા છે તે મોટો સવાલ છે.

ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્વીકાર્યું કે તબીબો ખાનગી પ્રેક્ટિસ કરવામાં વધુ રસ છે. જેને કારણે સરકારી હોસ્પિટલોમાં સ્ટાફની અછત વર્તાય છે. બાળકોના મોત પર રાજકારણ ગરમાયુ છે. રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ સિવિલ હોસ્પિટલ પહોંચીને જશ ખાટવાનો પ્રયાસ કર્યો. રાજસ્થાનની કોટામાં 100થી વધુ બાળકોનાં મોત મામલે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનું રાજીનામુ માગતા ભાજપ પાસે હવે રાજકોટમાં બાળકોનાં મોત મામલે તેમણે સીએમ વિજય રૂપાણીના રાજીનામાની માગ કરી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે આવેલા બાળદર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર બેદરકાર હોવાનો અને કોઈપણ પ્રકારે સંતોષકારક સારવાર આપવામાં ન આવતી હોવાના આક્ષેપો કર્યા.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 111 મોત થયા છે. ત્યારે હોસ્પિટલ બહાર સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બાળકોની હોસ્પિટલ બહાર એસઆરપી જવાનો બંદોબસ્તમાં જોડાયા છે.

ત્યારે હવે સમગ્ર મામલે કોંગ્રેસ પણ મેદાને આવી છે. કોંગ્રેસ સિવિલ હોસ્પિટલ ચોકમાં ધરણા પર બેઠી છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ધરણામાં જોડાયા છે. ધરણા પર બેસતા પહેલા અમિત ચાવડાએ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા છે. બેનર સાથે નારા લગાવવામાં આવ્યા હતા કે અટકાવો ભાઇ અટકાવો બાળકોના મોત અટકાવો. પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જવાબદારો રાજીનામા આપે.

આ અંગે અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું ભાવિ મરી રહ્યું છે ઓર્ગેનાઇઝડ ગુનો હોય એવું લાગે છે. અમારે કોઈ રાજનીતિ નથી કરવી પણ 70 ટકા જગ્યા રાજકોટમાં ખાલી છે. દર્દી હેરાન થાય છે, સરકાર જવાબદારી નિભાવી નથી શકતી. જવાબદારોએ રાજીનામાં આપવા જોઈએ. રાજકોટમાં 1234 બાળકોના મોત થયા, ગુજરાતમાં 25000ના મોત થયા છે.