રાહુલ ગાંધી રાજ્યમાં આદિવાસી સત્યાગ્રહ સભા સંબોધશે

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ ગુજરાત પ્રવાસ વધારી રહ્યા છે. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેર સભા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 10મી મેએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દાહોદમાં યોજાનારા આદિવાસી સંમેલનને સંબોધશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદમાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન પર સવારે 10 કલાકે સંબોધન કરશે.

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે દેશના બંધારણે આદિવાસી ભાઈ-બહેનોને આપેલા વિશેષાધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આદિવાસી સમાજને ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક અને અધિકાર મળે એ માટે કોંગ્રેસ પાર્ટી લડત આપી રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિને મોટા પાયે નુકસાન કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બપોરે બે કલાકે બેઠક કરશે. તેઓ આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજશે અને સ્થાનિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરશે. આવતી કાલે રાહુલ ગાંધીની હાજરીમાં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ યોજાશે.