હાર્દિક પટેલ કયાં છે? 18 જાન્યુઆરીથી પરિવારના સંપર્કમાં નથી

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ કયા છે? તે છેલ્લા ઘણા સમયથી જાહેરમાં નથી દેખાઈ રહ્યો પોલીસ તેની સતત શોધખોળ કરી રહી છે. આ બધા વચ્ચે ચર્ચાએ છે કે, શું હાર્દિક પટેલ ગૂમ થઈ ગયો છે? હાર્દિકના ગૂમ થવા મામલે તેમની પત્ની કિંજલ પટેલે કહ્યું કે, ગુજરાત સરકાર અને પોલીસ કારણ વગર હાર્દિકને હેરાન કરે છે. સરકાર હાર્દિકને નિશાન બનાવીને બદલાની રાજનીતિ રમી રહી છે.

હાર્દિકની ગેરહાજરીમાં તેમની પત્નીએ સોશિયલ મીડિયા પર મોરચો સંભાળ્યો છે. હાર્દિકનું ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ છેલ્લા એક મહિનાથી તેમની પત્ની ઓપરેટ કરી રહી છે. હાર્દિકના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી છેલ્લે 17 કલાક પહેલા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. આ અગાઉ 29 જાન્યુઆરીએ કિંજલે ટ્વીટ કર્યું હતું કે, થોડા દિવસો પહેલા જ જેલમાંથી છૂટી ગયો હોવા છતાં હાર્દિક હજુ ઘરે નથી પહોંચ્યો.

તબીજી તરફ હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ અને અન્ય પાટીદાર યુવાનો પર કરવામાં આવેલા ખોટા કેસો મામલે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મીટિંગમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ, સહીત તાલુકા અને જિલ્લાના કન્વિનરો સામેલ થયા છે.

આ શિબિરમાં હાજર રહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જણાવ્યું કે, આ પરિવારમાં મને સ્થાન મળ્યું તેનો આભાર માનું છું. હજુ પણ 50 ટકા સફળતા મળવાની બાકી છે. આપણા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. 18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ.

તો હાર્દિક મામલે પાસનું કહેવું છે કે, 2015નો એક કેસ છે, જેમાં વસ્ત્રાપુરમાં કેસ થયો તો પછી બીજી જગ્યાએ એ વ્યક્તિ ક્યાંથી હોય? સરકાર છેલ્લા 30 દિવસથી એક્શનમોડ પર આવી છે. 2020માં હાર્દિક પટેલના સમગ્ર ગુજરાતમાં પ્રવાસ થયા તેનાથી સરકારને મુશ્કેલી પડે છે. આગામી સમયમાં તારીખ નક્કી કરીને તમામ જિલ્લા અને તાલુકા મથકે એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે. મનોજ પનારાએ કહ્યું કે, જરૂર પડશે તો 2015 જેવું આંદોલન 2020માં કરીશું. એટલું જ નહીં તાલુકા-જિલ્લા પંચાયતમાં કાર્યકરો ચૂંટણી લડશે.