લોકડાઉનમાં શાંતિ બિઝનેસ સ્કૂલનો ઓનલાઈન સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ

અમદાવાદ: બિઝનેસ મેનેજમેન્ટ કોલેજ શાંતિ બિઝનેસ સ્કૂલ કોવિડ- 19 લોકડાઉન દરમ્યાન આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી પોતાના તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. હાલમાં ‘શાંતિ બિઝનેસ સ્કૂલ”ના વિદ્યાર્થીઓને દેશ અને વિદેશની જાણીતી કંપનીઓ તેમના મહત્વપૂર્ણ લાઈવ  પ્રોજેક્ટ  ઉપર કામ કરવાની તક આપી રહી છે, એટલું જ નહિ આ કંપનીઓના ટોપ મેનેજમેન્ટના હોદ્દેદારો વિદ્યાર્થીઓને કોવીડ-19 ની કટોકટી પછી માર્કેટમાં ઉદ્દભવતી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે વિષય પર પણ ઓનલાઈન માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

આ અંગે “શાંતિ બિઝનેસ સ્કૂલ”ના ડિરેક્ટર ડૉ. નેહા શર્મા જણાવે છે કે “સંપૂર્ણ પ્રક્રિયાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે, પ્રથમ તબક્કો ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમો અને ઉદ્યોગના નિષ્ણાતોના ઓનલાઇન સત્રો દ્વારા શીખવાનો છે, બીજો તબક્કો કોર્પોરેટ દ્વારા ફાળવવામાં આવેલા પ્રોજેક્ટને ફેકલ્ટી મેન્ટર અને કોર્પોરેટ મેન્ટરના  માર્ગદર્શન  હેઠળ પૂરો કરવાનો  છે, અને ત્રીજો તબક્કો  પ્રોજેક્ટ્સમાં ઊંડાણ પૂર્વક કરવામાં આવેલા સંશોધનો અને  પરિણામો અંગે કોર્પોરેટને સૂચનો આપવા, જે સૂચનો કોર્પોરેટ દ્વારા ભવિષ્યની વ્યૂહરચના બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય.

“શાંતિ બિઝનેસ સ્કૂલ”ના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ અને રસપૂર્વક આ નવીન મોડેલ અપનાવ્યું અને આ અનોખી પદ્ધતિ દ્વારા પોતાના જ્ઞાન-કૌશલ્યમાં વધારો કરી રહ્યા છે. વધુમાં પ્રોફેસર ડૉ. કિશોર બારડ ઉમેરે છે કે વિદ્યાર્થીઓ માટેના આ પ્રોજેક્ટ્સ આંતરશાખાકીય છે અને સંસ્થાના ફેકલ્ટી ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને તૈયાર કરી રહ્યા છે, જેથી કોવિડ-19 સંકટ પછી જોબ માર્કેટની કઠિન સ્પર્ધા માટે તેઓ તૈયાર રહે. શાંતિ બિઝનેસ સ્કૂલની ફેકલ્ટી ટીમવર્ક દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શીખવવા, માર્ગદર્શન અને સુવિધા આપવા માટે સતત કાર્યરત છે.