અમદાવાદઃ દિવાળીના તહેવારોની શરૂઆતની સાથેજ શહેરોમાંથી પોતાના વતન તરફ જતાં લોકો રેલવે સ્ટેશન, એસ.ટી.બસ સ્ટેન્ડ, ખાનગી બસોમાં સુખદ પ્રવાસને, સારી જગ્યાની સાથે મુસાફરી થાય એવા પ્રયત્નો કરતા હોય છે. પરંતુ જેમજેમ તહેવારો નજીક આવે, રજાઓની શરૂઆત થતાં જ શાંતિથી મુસાફરીના સપનાં રોળાઇ જાય છે.
સ્લીપીંગ, સીટીંગ ની જગ્યા તો ઠીક પ્રવાસની ટિકિટ મેળવવાના ફાંફા પડી જાય છે. 24 ,ઓકટોબર 2019ના વહેલી સવારથી જ અમદાવાદથી ઉત્તર ભારતના દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને દેશના અન્ય ભાગમાં જતી ટ્રેનોમાં જવા ભારે ધસારાના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. પ્લેટફોર્મ, સ્ટેશન બહાર ઠેર ઠેર માનવ પ્રવાહ જોવા મળી રહ્યો છે. લોકો પગથિયા અને માર્ગ પરના ડીવાઇડર પર વિલા મોંએ બેઠા છે. કારણ ટ્રેનમાં જ્યાં જગ્યા મળે ત્યાં દરવાજા માં પ્રવેશ બાદ લાંબી મજલ કાપી વતનમાં ઉત્સવ ઉજવવાની તાલાવેલી હોય છે.
ટ્રેનોમાં ભારે ભીડ, ધસારા બાદ જગ્યા ના મળે ત્યારે મોંઘાદાટ ભાડા ખર્ચી કલાકોની યાતનાઓ ભોગવવા તૈયાર થઈ જાય છે. હાલ.. અમદાવાદ શહેરના રેલ્વે સ્ટેશન પર પ્રવાસની આશાએ અહીં થી તહીં ફરતા અસંખ્ય મુસાફરો જોવા મળી રહ્યા છે. ગામડાં, નાનાં શહેરો માંથી રોજગારી માટે હજારોની સંખ્યા રોજ ઉમટી પડતા ગરીબ શ્રમિકોને આધુનિકતા અપનાવવા જતા ભારે હાલાકીઓનો સામનો ભોગવવો પડતો હોય છે. સરકારી તંત્રની અતિશય ખરાબ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો અભાવ, ગેરવહીવટ ,વધતી અનિયંત્રિત વસ્તીથી માણસો પશુઓ કરતાં પણ બદતર હાલતમાં પ્રવાસ કરવા મજબૂર થઈ જાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)