ગુજરાતી સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે નવરાત્રી મહોત્સવ

અમદાવાદઃ એક્તામાં અનેકતા અને અનેકતામાં વિવિધતાનો સંદેશ આપવા માટે ગુજરાતી સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે નવરાત્રી મહોત્સવ 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. 

સિટી ઓફ નોર્વેક સેરિટોઝ કોલેજ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે ધૂમ મચાવી હતી. 3000 કરતાં વધારે ગુજરાતીઓને પોતાના તાલે ગરબે ઘુમવા માટે મજબૂર કરનારી આ બેલડીને લઈ ગુજરાતી ખેલૈયા ઓ ભૂલી ગયા હતા કે તેઓ ગુજરાતમાં ગરબા રમી રહ્યાં છે કે વિદેશમાં!!

ગુજરાતી સમાજના ચેરમેન ઘનશ્યામસિંહ ઝાલા, પુષ્પાબહેન પટેલ, સેરીટોઝ કોલેજના યોગી પટેલ, પરિમલ શાહની આગેવાનીમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી સમાજના 3000 જેટલા લોકો ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા ખાસ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાતી સમાજના ચેરમેન બી.યુ. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલે જણાવ્યું હતું કે પોતે 35 કરતા વધારે વાર લોસ એન્જલસ આવી ચુક્યા છે અને દર વખતે તેમનો ઉત્સાહ અને ગુજરાતી સમાજનો તેમના માટેનો પ્રેમ વધતો જ જાય છે. પાર્થિવ અને માનસી પારેખે વિદેશમાં રહીને પણ ગુજરાતી સમાજ માટે કામ કરતાં અગ્રણીઓને બિરદાવ્યાં હતાં.