રાજ્યની 53 હજાર આંગણવાડીમાં 3.15 લાખ વૃક્ષોનું થશે વાવેતર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અન્વયે રાજ્યભરની 53,065 આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો ગાંધીનગર થી આંગણવાડીના બાળકો સાથે  વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાનએ તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસે દેશવાસીઓને પર્યાવરણ જતન-સંવર્ધનથી અને ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા ‘એક પેડ માં કે નામ’ વૃક્ષ વાવેતર અને ઉછેરના અભિયાનનું આહવાન કર્યું છે. દરેક વ્યક્તિ પોતાની માંની સ્મૃતિમાં કે માતાની સાથે મળીને એક વૃક્ષ વાવે અને ધરતી માતાની પર્યાવરણીય રક્ષા કરે તેમજ ગ્રીન કવર વધારે તેવો આશય વડાપ્રધાનએ આ અભિયાનમાં રાખેલો છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનના પર્યાવરણપ્રિય વિચારને સાકાર કરવા ગુજરાતમાં આ અભિયાન અન્વયે આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો  વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલું જ નહિ, મુખ્યમંત્રીએ રાજ્યની આંગણવાડીઓના ભૂલકા-બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જતન તેમજ વૃક્ષપ્રેમ અને વૃક્ષોના ઉછેર, સંવર્ધનની આદત કેળવાય તેવો પર્યાવરણ જતનલક્ષી પ્રેરક અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર મહિલા અને બાળ કલ્યાણ વિભાગને રાજ્યની 53,065 આંગણવાડીમાં આ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત મોટાપાયે વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી. આ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રીએ પવિત્ર શ્રાવણ માસના  પ્રથમ દિવસે ગાંધીનગરમાં સેક્ટર-3Aન્યૂની આંગણવાડીમાં  બાળકો સાથે વૃક્ષારોપણ કરીને  કરાવ્યો હતો.

આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ મળીને 3.15 લાખથી વધુ  વૃક્ષો ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત  વાવવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અવસરે આંગણવાડીના ભૂલકાઓ સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો. તેમને ફળ-છોડ ના રોપાઓનું  વિતરણ પણ કર્યું હતું અને ટેક હોમ રાશનમાંથી બનાવેલી વાનગીઓનું નિર્દશન નિહાળ્યું  હતું.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ધારાસભ્ય રીટાબહેન, તેમજ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સહિત વિવિધ સમિતિઓના ચેરમેન, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કાઉન્સિલર, અગ્રણીઓ તથા સેક્ટરના વસાહતીઓ અને  મહિલા બાળ કલ્યાણ  સચિવ નિરાલા, કમિશનર રણજીત કુમાર, નિયામક  કુમુદ બેન તેમજ શહેર-જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.