ભાજપના 160 ઉમેદવારોની યાદી જાહેરઃ 40 ટકા વિધાનસભ્યોની ટિકિટ કપાઈ

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની યાદી જારી કરી છે, જેમાં 38 વિધાનસભ્યોની ટિકિટ કાપી નાખવામાં આવી છે. રાજ્યમાં કુલ 182 વિધાનસભા સીટ છે. ગઈ વખતે ભાજપ 99 સીટો જીત્યો હતો. હવે પછીની યાદીમાં કેટલા વિધાનસભ્યોની ટિકિટ કાપવામાં આવશે એ વિશે કશું કહી નહીં શકાય.

 ભાજપે જે 182 બેઠકની યાદી જાહેર કરી છે, એમાં 14 મહિલાઓ તેમ જ એસસીને 13 અને 24 ટિકિટ એસટીના ઉમેદવારોને ફાળવવામાં આવી છે. આ ઉપરાંત 38 બેઠકોમાં ફેરબદલ કરવામાં આવી છે, જેમાં ચાર ડોક્ટર ઉમેદવારો છે અને ચાર પીએચડી ઉમેદવારો છે. આ યાદી માટે વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની બેઠક થઈ હતી, જેમાં વિચારવિમર્શને અંતે આ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.   

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ભાજપે એન્ટિ ઇન્કમબન્સીથી બચવા માટે આ વખતે આશરે 40 ટકા નવા ચહેરાઓને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાથી ચૂંટણી લડશે, જ્યારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી મજૂરા સીટથી ચૂંટણી લડશે.આ સાથે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાને જામનગર ઉત્તરથી, જ્યારે ગાંધીધામથી માલતીબહેનને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પૂલ દુર્ઘટનાની જગ્યાએ મોરબીથી કાંતિલાલભાઈ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસથી ભાજપમાં સામેલ થયેલા હાર્દિક પટેલને વિરમગામ બેઠકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

બીજી બાજુ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભૂતપૂર્વ કેબિનેટપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભૂતપૂર્વ ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ભૂતપૂર્વ પ્રધાન સૌરભ પટેલ, પ્રદીપ સિંહ જાડેજા સહિત આશરે આઠ ભૂતપૂર્વ પ્રધાનોએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.