તરણેતરના મેળાની જાણી-અજાણી વાતો..

સમગ્ર વિશ્વમાં ગુજરાતના લોકમેળાનું અનેરું મહત્વ છે. ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતા લોકમેળા રાજ્યના જુદા-જુદા પ્રાંતમાં ભરાય છે. આજે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા તરણેતરના મેળાની.

દેશનું પ્રત્યેક રાજ્ય જુદા-જુદા મેળાઓથી સભર છે જેમાં ગુજરાતને શિરમોર ગણી શકાય. મેળામાં લોકજીવનનો ઉમંગ ઉત્સાહ, લોકસંસ્કૃતિની રંગીન કલાત્મક્તાનો આનંદ છતો થાય છે. સામાન્ય રીતે મેળો નામ સાંભળીએ એટલે નાના-મોટા ચકડોળ, રમકડાંના સ્ટોલ, ભાત-ભાતના વસ્ત્રો પહેરીને ફરતા લોકો, ઉત્સવમાં ઉમળકાભેર ભાગ લેવા દૂર-દૂરથી આવતું માનવ મહેરામણ નજર સમક્ષ તળવળે. આમ તો દરેક મેળાની પાછળ એનું ધાર્મિક અને પ્રાચીન ઈતિહાસ જોડાયેલો હોય છે. ત્યારે તરળેતળના મેળાનો પણ રસપ્રદ ઈતિહાસ છે.

 ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય

ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય. ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે,  રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે. ટીટોડો અને હૂડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે. ઋષિપાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે. આ વર્ષે તરણેતર મેળો ૦૬ સપ્ટેમ્બરથી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમિયાન યોજાશે. તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ.

આ રીતે નામ પડ્યું ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ

પાંચાળનો ઘેરાવો બહુ મોટો નથી, પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહુ મોટુ મહત્ત્વ છે. પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર “દ્વિપકલ્પ” તરીકે ઓળખાતો હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી. એ જે ટોચનો વિસ્તાર છે તે, સૌરાષ્ટ્રનો “પાંચાળ” વિસ્તાર છે. સ્કંદપુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. વિષ્ણુ ભગવાને શિવજી ઉપર ૧૦૦૧ કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયા અને છેલ્લું ૧ કમળ  ખૂટ્યું ત્યારે એમણે પોતાનું જમણું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારે ભગવાન શંકર લીંગમાંથી પ્રગટ થયાં અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ કહેવાયા. તેના પરથી અપભ્રંશ થતાં ગામનું નામ “તરણેતર” પડ્યું. વાયકા મુજબ, બીજી વખત કણ્વ મુનિનાં ભક્તિનાં પ્રભાવથી શિવલીંગમાંથી ભોળાનાથ પ્રકટ થયા. જેમને પાંચમુખ, દશભૂજા અને ત્રણ નેત્ર હતા. તે શિવની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્ર્વર મંદિરમાં સ્થાપિત છે.

આ ભૂમિ પાંચાલભૂમિ તરીકે પણ ઓળખાય છે

પૌરાણિક કથા અનુસાર, આ મેળો પ્રાચીનકાળથી અહીં ભરાય છે. એની ઉત્પત્તિ દ્રૌપદીના સ્વયંવરની કથા સાથે જોડાયેલી છે. દ્રૌપદીનો સ્વયંવર આ જ સ્થાને યોજાયો હતો. આ કુંડનાં પાણીમાં પ્રતિબિંબ જોઈ અર્જુને માછલીની આંખ વીંધી હતી. અને દ્રોપદી સાથે એમના વિવાહ થયા. માટે લોકવાયકા પ્રમાણે આ ભૂમિને દ્રૌપદી એટલે કે પાંચાલીના નામે “પાંચાલભૂમિ” તરીકે પણ ઓળખાય છે.

આ રીતે શરૂ થયો તરણેતરનો મેળો

ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતે બનાવેલા કુંડમાં પાંચ ૠષિઓએ ભેગા થઈ ગંગાજીને અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કરાવ્યું હતું. જેથી પાંચાળ વિસ્તારના લોકોને ગંગા સ્નાન માટે હરિદ્ધાર કે ઋષિકેશ સુધી ન જવું પડે. લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે મહર્ષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, માટે કહેવાય છે કે ત્યારથી આ ભાતીગળ સંસ્કૃતિ અને અસ્મિતાની ઝાંખી કરાવતા તરણેતરના લોકમેળાની  ઐતિહાસિક રીતે શરૂઆત થઈ.

આકર્ષણનું કેન્દ્ર હોય છે બળદગાડા

તરણેતરનાં મેળામાં રંગબેરંગી ભરત ભરેલ, મોતી, બટનીયાં, આભલાં અને ફૂમતા- રૂમાલથી શણગારેલી છત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા હોય છે. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રોકાય છે. સૌરાષ્ટ્રની જે શૂરવીર જાતિઓ બહારથી સ્થળાંતર થઈને આવી એ સૌ પહેલાં પાંચાળમાં આવી અને પછી સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં જઈ વસવાટ કર્યો. પ્રાગૈતિહાસિક કાળથી આ વિસ્તાર માલધારીઓનો વસવાટ રહ્યો છે. માલધારીઓનું જીવન એ સંપૂર્ણ લોકજીવન છે. એમની લોકસંસ્કૃતિ, અસ્મિતા એમણે પરંપરાથી જ ટકાવી રાખી છે. એનું દર્શન પાંચાળમાં થાય છે. પાંચાળ ભૂમિની તળપદા કોળી જ્ઞાતિમાં આ મેળાનું સૌથી વધુ મહત્ત્વ છે.