ગાંધીજીની પવિત્ર તપોભૂમિ પર પ્રેરણાનો સંચાર થયો: મુર્મુ

અમદાવાદઃ રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી સૌપ્રથમ વાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ભારતની આઝાદીના આંદોલનમાં કેન્દ્ર સમા અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમની ભૂમિમાં ગાંધી-વંદના કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.તેમણે સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ગાંધીજીના ચિત્રને સૂતરનો હાર પહેરાવી વંદના કરી હતી. તેમણે મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી તથા ગાંધી આશ્રમમાં ચરખો પણ કાંત્યો હતો. તેમની આ મુલાકાત વખતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે મહાત્મા ગાંધીના જીવન અને આઝાદી આંદોલનના સંઘર્ષને દર્શાવતા આર્કાઇવ પ્રદર્શનને જોયું હતું. તે સાથોસાથ બૃહદ આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મોડલને જોઈને તેમણે જાણકારી મેળવી હતી.

તેમણે સાબરમતી આશ્રમની મુલાકાતના અનુભવ અને અનુભૂતિને વિઝિટર્સ બુકમાં વર્ણવતાં લખ્યું હતું કે સાબરમતીના સંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પવિત્ર તપોભૂમિ પર આવીને મારામાં અવર્ણનીય શ્રદ્ધા અને પ્રેરણાનો સંચાર થયો છે. લાંબા સમય સુધી સ્વાધીનતા સંગ્રામના કેન્દ્ર રહેલા આ પરિસરમાં મને ગહન શાંતિનો અનુભવ થાય છે. આ પરિસરમાં પૂજ્ય બાપુના અસાધારણ જીવન-વૃતના અણમોલ વારસાને પ્રશંસનીય રીતે સાચવીને રાખવામાં આવ્યો છે, એ માટે હું સાબરમતી આશ્રમની સારસંભાળ રાખનારા તમામ લોકો પ્રશંસાને આભારી છે.”

સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અગ્રણી અમૃતભાઈ મોદી,  નીતિન શુક્લ, જયેશ પટેલ તથા અતુલ પંડ્યાએ રાષ્ટ્રપતિને ગાંધી આશ્રમ અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી.