મુંબઈ-અમદાવાદ રૂટ પર અકાસા એરની ફ્લાઈટ્સ શરૂ

અમદાવાદઃ કેન્દ્રના મુલ્કી ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્યકક્ષાના પ્રધાન જનરલ વિજયકુમાર સિંહ (સેવાનિવૃત્ત)એ આજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી વિડિયોકોન્ફરન્સિંગ માધ્યમથી લીલી ઝંડી બતાવી એ સાથે જ અકાસા એર એરલાઈને મુંબઈ-અમદાવાદ રૂટ પર તેની વિમાન સેવાનો શુભારંભ કર્યો હતો. આ રૂટ પરની પહેલી ફ્લાઈટ આજે સવારે 10.05 વાગ્યે મુંબઈથી રવાના થઈ હતી અને સવારે 11.25 વાગ્યે અમદાવાદ પહોંચી હતી. આ ફ્લાઈટનું ઉદઘાટન કરતાં સિંધિયાએ કહ્યું કે આ ઘટના સિવિલ ઉડ્ડયન ક્ષેત્રમાં એક નવી સવારનું પ્રતીક છે.

મુંબઈ અને અમદાવાદ રૂટ પર અકાસા એર 28 સાપ્તાહિક ફ્લાઈટ્સનું સંચાલન કરશે. આ એરલાઈનમાં અનેક ઉદ્યોગપતિઓનો હિસ્સો છે, પણ બિગ બુલ સ્ટોક ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાનો સૌથી વધારે, 45.97 ટકા હિસ્સો છે.

(તસવીર સૌજન્યઃ JM_Scindia)