હાઇકોર્ટે સરકાર, કોર્પોરેશનને રખડતા ઢોર મુદ્દે ફટકાર લગાવી

અમદાવાદઃ રાજ્યમાં રખડતાં ઢોરનો મુદ્દો માથાનો દુખાવો બની ગયો છે. રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિ મામ પોકારી ગઈ છે. બીજી બાજુ, કોર્પોરેશન આ બાબતે હળવા હાથે કામગીરી કરી રહ્યું છે. રસ્તા પર ફરતા ઢોરને કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાનાં બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે હાઇકોર્ટે  સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકાર સામે લાલ આંખ કરી છે.

હાઈકોર્ટે AMC અને રાજ્ય સરકારનો બરાબરની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે રખડતા ઢોરના લીધે લોકોનાં મોત થતા હોવાથી સરકારને તેની દરકાર છે કે નહીં. તાજેતરમાં દહેગામમાં રખડતા ઢોરના લીધે થયેલા મોત મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરને વળતર ચૂકવવા અરજી કરી હતી- પણ  એ વળતર ના મળતાંહાઇકોર્ટે વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે જે-તે વિસ્તારમાં રખડતા ઢોર માટે જવાબદાર ઓફિસરો સામે પગલાં લેવાયાં છે કે કેમ? તમે હજુ કોઈના મરવાની રાહ જોઈ રહ્યા છો? આ મુદ્દે કોર્ટ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. તમારા તરફથી શું પગલાં લેવાયાં છે?

રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા નવી ગાઇડલાઇન બનાવવા અંગે બાંયધરી આપી હતી. એટલું જ નહીં, રાજ્ય સરકાર જે ગાઈડ લાઈન બનાવે તે રાજ્યનાં તમામ કોર્પોરેશનોએ પાલન કરવાની રહેશે. કોર્પોરેશને બનાવેલી પોલિસી સ્ટેન્ડિંગ કમિટીએ પરત મોકલતાં હાઇકોર્ટ સ્ટેન્ડિંગ કમિટીને પણ ફટકાર લીધી હતી..

હાઈકોર્ટે જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા એ રાજયની પ્રથમ જવાબદારી બને છે. 156 પાલિકા, 8 મનપામાં ઢોરને નાથવા જરૂરી હોવાનું નોંધ્યું છે. રોંગ સાઇડ પર ચાલતા વાહનો સામે કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. હવે 18 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.