હીરાબાનું નિધનઃ PM મોદીએ પાર્થિવ દેહને કાંધ આપી

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં  વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. હીરાબાના નિધન બાદ મોદી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણસ્થિત ઘરેથી નીકળશે અને સેક્ટર-30ના સ્મશાનમાં પહોંચશે. વડા પ્રધાને હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. તેમના ભાઈઓ પણ તેમની સાથે જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાના નિધનના સમાચારે તત્કાળ રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા હતા. આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.

તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં છે. માતામાં, મેં હંમેશાં તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે બે દિવસ પહેલાં યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. તેમના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા બાદ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી હતી. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમ જ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી.

ગૃહપ્રધાન અમિત શાહે પણ હીરાબાના નિધન માટે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હીરાબાને ટ્વીટ કરીને શ્રદ્ધાજંલિ આપી હતી.