હાર્દિક પટેલે ગાંધીનગરમાં ઉપવાસ માટે માગી મંજૂરી

અમદાવાદઃ 25મી ઓગસ્ટના ઉપવાસ માટે નિકોલ ખાતે મંજૂરી ન મળતા હાર્દિક પટેલે ઘરેથી જ ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હવે હું ઘરેથી જ ઉપવાસ કરીશ અને એમા મને કોઈ રોકી નહી શકે. પરંતુ હવે હવે હાર્દિકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ કરવા માટે મંજૂરી માગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જો ઉપવાસની મંજૂરી નહીં મળે તો રાજ્યપાલને રજૂઆત કરવામાં આવશે.
હાર્દિક પટેલ હવે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ કરવા માગે છે અને આ મામલે તેણે મામલતદારને અરજી કરી છે. આ મામલે હાર્દિક પટેલ વતી ગાંધીનગર જિલ્લાના પાસ કન્વીનર ઉત્પલ પટેલે ગાંધીનગરના મામલતદારને એક અરજી કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે તારીખ 25મી ઓગસ્ટના રોજ સત્યાગ્રહ છાવણી, સેક્ટક-6, ગાંધીનગર ખાતે માઈક અને મંડપ સાથે ઉપવાસની મંજૂરી આપવામાં આવે.

હાર્દિક પટેલે સમગ્ર મામલે જણાવ્યું કે 25મી ઓગસ્ના રોજ ઉપવાસનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. જો બહાર મંજૂરી નહી મળે તો હું મારા ઘરે જ શાંતિપૂર્ણ રીતે ઉપવાસ કરીશ. હાર્દિકે જણાવ્યું કે અમે ઘરે ઉપવાસ કરવા અંગે કોઈ જ મંજૂરી લીધી નથી કારણ કે મારું ઘર એ મારી ખાનગી સંપત્તિ છે અને અહીંયા ઉપવાસ પર બેસવા માટે મારે સરકારની મંજૂરી લેવાની કોઈ જરુર નથી.