હાર્દિક પટેલ 30 મેએ ભાજપપ્રવેશ કરે એવી શક્યતા

અમદાવાદઃ કોંગ્રેસથી નારાજ થઈને પાર્ટી છોડનારા હાર્દિક પટેલના ભાજપપ્રવેશને મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી એ વખતે આપવામાં આવી હતી, જ્યારે વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ રાજ્ય પ્રવાસે આવવાના હતા. પાટીદાર નેતાએ 19 મેએ કોંગ્રેસ છોડી હતી. હવે એવો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે હાર્દિક પટેલ 30 મેએ ભાજપમાં સામેલ થાય એવી શક્યતા છે. હાલમાં તેમણે આપેલા એક ચેનલમાં કહ્યું હતું કે આગામી પાંચ દિવસોમાં રાજ્યના લોકો અને દેશના લોકો માટે સારા સમાચાર આવવા જોઈએ.

કોંગ્રેસથી થયેલા મોહભંગ વિશે તેમણે કહ્યું હતું કે એક 28 વર્ષની વ્યક્તિ કોંગ્રેસ છોડી રહી છે. 50 વર્ષના સુનીલ જાખડ પણ કોંગ્રેસ છોડી ચૂક્યા છે. 75 વર્ષના કપિલ સિબ્બલે પણ કોંગ્રેસ છોડી છે. હાર્દિક પટેલે આજે ટ્વીટ કરીને વીર સાવરકરની જન્મજયંતીએ તેમને યાદ કર્યા હતા, જે  ટ્વીટ પણ ઇશારો કરે છે કે તેઓ ભાજપમાં જોડાવાની શક્યતા પૂરેપૂરી છે.

આ ચિંતાનું કારણ છે. ચિંતન હવે પૂરું થયું છે. તમારે વિચારવું જોઈએ કે પાર્ટીને શું થયું છે. જો કોઈ વ્યક્તિ પક્ષ છોડે છે તો એ વ્યક્તિ પક્ષને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાનો આ એક ભવ્ય કાર્યક્રમ હશે. તેમને ભાજપમાં જોડાવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં અથવા ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં અથવા બી.એલ. સંતોષની હાજરીમાં ગાંધીનગરમાં પાર્ટીમાં જોડાઈ શકે છે, એમ પક્ષનાં સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો હોવાની સંભાવના છે.