રાજ્યમાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ, નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા

અમદાવાદ-  ચોમાસુ હવે વિદાય તરફ આગળ વધ્યું છે ત્યારે રાજ્યભરમાં સરેરાશ ૧૦૯.૯૯ ટકા વરસાદ નોંધાયો છે. જેનાં કારણે પ્રથમ વખત 21 હજાર MCMથી વધારે જળસંગ્રહ થયો છે. રાજ્યનાં તમામ જિલ્લાઓમાં 70 ટકાથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યના ૨૦૪ જળાશયોમાં પાણીનો સંગ્રહ ૮૧.૫૪ ટકા થયો છે. ૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૩ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા છે. જેથી હવે સમગ્ર વર્ષ દરમિયાન પીવાની પાણીની સમસ્યા નહીં રહે. રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થવાથી ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ ગઇ.

રાજ્યના 72 જળાશયો છલકાયા….

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં (MP)ના ઓમકારેશ્વર ડેમ માંથી 6 લાખ 40 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. હાલ ડેમની સપાટી 136.20 મીટર છે. અને નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 5 લાખ 6 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહે છે. કેવડિયાનો ગોરા બ્રિઝ પર પાણી ફરી વળતા રાહદારીઓ માટે બ્રિઝ બંધ કરાયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં ભરૂચમાં ૧૪૬.૧૯ ટકા, છોટા ઉદેપુરમાં ૧૪૨.૭૨ ટકા, કચ્છમાં ૧૪૦.૯૯ ટકા, જામનગરમાં ૧૩૭.૪૭ ટકા, બોટાદમાં ૧૩૫.૩૩ ટકા, મોરબીમાં ૧૩૨.૧૫ ટકા, નર્મદામાં ૧૨૪.૫૭ ટકા, વલસાડમાં ૧૨૦.૨૦ ટકા, સુરતમાં ૧૧૯.૯૨ ટકા, સુરેન્દ્રનગરમાં ૧૧૭.૮૨ ટકા, પંચમહાલમાં ૧૧૫.૭૮ ટકા, રાજકોટમાં ૧૧૦.૨૩ ટકા, નવસારીમાં ૧૧૦.૧૮ ટકા, ભાવનગરમાં ૧૦૭.૬૧ ટકા, જૂનાગઢમાં ૧૦૬.૭૯ ટકા, આણંદમાં ૧૦૬.૪૯ ટકા, તાપીમાં ૧૦૬.૪૫ ટકા, વડોદરામાં ૧૦૩.૩૪ ટકા, દેવભૂમિદ્વારકામાં ૧૦૨.૧૭ ટકા અને ખેડામાં ૧૦૧.૩૫ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

રાજ્યના ૮ જળાશયોમાં ૧૦,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે. સરદાર સરોવરમાં ૩,૮૮,૫૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૩,૨૮,૭૩૧ કયુસેક જાવક છે. ઉકાઇમાં ૫૫,૭૨૬ ક્યુસેક આવક છે, જેની સામે ૫૪,૫૨૬ કયુસેક જાવક છે. વણાકબોરીમાં ૪૮,૪૩૮ ક્યુસેક આવક છે, જેની સામે ૪૬,૫૩૮ કયુસેક જાવક છે. કડાણામાં ૪૭,૭૧૨ ક્યુસેક આવક છે, જેની સામે ૫૭,૫૮૬ કયુસેક જાવક છે. દમણગંગામાં ૨૦,૨૩૫ ક્યુસેક આવક છે, જેની સામે ૯,૧૦૭ કયુસેક જાવક છે. આજી-૪માં ૧૧,૧૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૧૧,૧૯૨ કયુસેક જાવક છે. હીરણ-રમાં ૧૦,૩૫૧ ક્યુસેક આવક છે જેની સામે ૧૦,૩૫૧.૪ કયુસેક જાવક છે. જ્યારે ઉંડ-૧માં ૧૦,૨૬૮ ક્યુસેક આવક છે, જેની સામે ૧૦,૨૬૮ કયુસેક જાવક છે.

ફાઈલ ચિત્ર

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૩૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૭૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 10 સપ્ટેબર બાદ રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડશે. દરિયાકાંઠાનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સુચન આપ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.